Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં રેકૉર્ડ બ્રેક, 24,850 નવા કેસ

05 July, 2020 11:02 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં રેકૉર્ડ બ્રેક, 24,850 નવા કેસ

બાંદ્રાની હૉલી ફૅમેલી હૉસ્પિટલમાં દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સન વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર અન્ય વાહન સાથે અથડાતા અકસ્માત થયો હતો અને આરોગ્ય કર્મચારીઓને બીજી એમ્બ્યુલન્સની મદદ લેવી પડી હતી (તસવીર: સંતોષ હિરલેકર)

કોરોના વાયરસ (COVID-19) મહામારીના દેશમાં દરરોજ વધતા જતા કેસ ચિંતાજનક છે. રવિવારે સવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં 24,850 નવા કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીના એક જ દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. તેમજ છેલ્લા ચોવીસ કલાકમાં 613 દર્દીઓએ કોરોનાને લીધે જીવ ગુમાવ્યો છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 6,73,165 થઈ ગયો છે. જેમાંથી 2,44,814 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં 19,268 લોકોએ કોરોનાને લીધે જીવ ગુમાવ્યો છે. તો બીજી બાજુ 4,09,083 લોકો સારવાર બાદ સાજા થયા છે.

દેશમાં કોરોના વાયરસના કેસ જે રીતે વધી રહ્યાં છે તે જોતા લાગે છે કે, આજના દિવસના અંતે ભારત કોરોના સંક્રમિતોના આંકડામાં રશિયાને પાછળ મુકી દેશે. ભારત હવે રશિયા કરતા માત્ર 611 કેસ પાછળ છે. જો આજના દિવસમાં 611 નવા કેસ નોંધાશે તો ભારત રશિયાને પાછળ મુકીને સંક્રમિતોના આંકડાઓમાં આગળ એટલે કે ત્રીજા સ્થાને આવી જશે. હાલ અમેરિકા પહેલા અને બ્રાઝિલ બીજા સ્થાને છે. જ્યારે રશિયા ત્રીજા સ્થાને અને ભારત ચોથા નંબર પર છે. ભારતમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યામાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે.

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસમાં અધધ વધારો થઈ રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં 7,074 નવા કેસ નોંધાયા હતા અને 295 લોકોના મોત થયા હતા. તેમાંથી મુંબઈ મેટ્રોપોલિટન રીજનમાં જ 4,045 નવા કેસ નોંધાયા હતા અને 163 લોકો મૃત્યુ પામ્યા હતા. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો બે લાખને પાર કરી ગયો છે. મહારાષ્ટ્રમાં કુલ 2,00,064 કેસ છે અને અત્યાર સુધીમાં 8,671 લોકોના મોત થયા છે. જ્યારે 1,08,082 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં થતો વધારો યથાવત રહ્યો છે. શનિવારે સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં કોરોના વાયરસના 712 નવા કેસ નોંધાયા છે અને 21 લોકોના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમિતોનો આંકડો 35,312 થઈ ગયો છે. જેમાંથી 8,057 કેસ એક્ટિવ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1,925 લોકો કોરોનાને લીધે મૃત્યુ પામ્યા છે. જ્યારે 25,414 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.

ઈન્ડિયલ કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, 4 જુલાઈ સુધીમાં કોરોનાના 97,89,066 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જેમાંથી છેલ્લા ચોવીસ કલાકમાં 2,48,934 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

coronavirus covid19 national news india maharashtra mumbai gujarat