Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 44,059 કેસ, 511 દર્દીઓનાં મોત

23 November, 2020 12:03 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 44,059 કેસ, 511 દર્દીઓનાં મોત

તસવીર: સતેજ શિંદે

દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 91 લાખને પાર થઈ ગઈ છે. જ્યારે કોરોનાને લીધે મૃત્યુ પામનારાઓની સંખ્યા 1.33 લાખને પાર થઈ ગઈ છે. થોડાક દિવસો પહેલા ચોવીસ કલાકમાં જ્યા 90,000થી વધુ કેસો નોંધાતા હતા તેમાં ઘણો મોટો ઘટાડો નોંધાયો હતો અને કોરોનાના સતત વધતા કેસમાં થોડાક સમય માટે આંશિક રાહત મળી હતી અને છેલ્લા કેટલાક દિવસથી 50,000 કરતા ઓછા કેસ નોંધાતા હતા. પરંતુ ગત અઠવાડિયે એક દિવસ 50,000 કરતા વધુ કેસ નોંધાયા બાદ ફરી ઘટાડો નોંધાયો છે. જોકે, દરરોજ નોંધાતા કોરોના પૉઝિટિવ કેસોની સંખ્યામાં પહેલાની સરખામણીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. સાથે જ એક્ટિવ કેસોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે અને રિકવરી રેટની ટકાવારીમાં પણ વધારો જોવા મળ્યો છે.

સોમવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 44,059 નવા કેસ નોંધાયા છે અને 511 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 91,39,866 કેસ થઈ ગયા છે. જેમાંથી 4,43,486 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 85,62,642 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 41,024 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધીમાં કુલ 1,33,738 લોકો મૃત્યુ પામ્યા છે. આ સાથે જ દેશમાં મોતનું પ્રમાણ 1.5 ટકા છે. જ્યારે રાહત આપતી વાત એ છે કે ભારતમાં હવે રિકવરી રેટ 93.7 ટકા સુધી પહોંચી ગયો છે.

મહારાષ્ટ્ર રાજ્ય દેશમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત છે. પરંતુ અહીં પણ છેલ્લા કેટલાક દિવસમાં કેસમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં અહીં નવા 5,753 કેસ નોંધાયા છે અને 50 લોકોના મોત થયા છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ 4,060 લોકો સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 17,80,208 થઈ ગયો છે. તેમાંથી 82,521 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 46,623 લોકો મૃત્યુ પામ્યા છે અને 16,51,064 લોકો સારવાર બાદ સાજા થયા છે.

ગુજરાતમાં પણ છેલ્લા ઘણા દિવસોથી કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એક તબક્કે રોજ 1000થી વધારે કેસો નોંધાતા હતા પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસની સંખ્યા 1000ની અંદર આવી ગઈ હતી. પણ ફરી એકવાર 1000 કરતા વધુ કેસ નોંધાયા છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં 1,495 નવા કેસ નોંધાયા હતા અને 13 લોકોના મોત થયા હતા. જ્યારે 1,167 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 1,97,412 થઈ ગયો છે. જેમાંથી 13,600 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 3,859 લોકોના મોત થયા છે અને 1,79,953 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.

નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં 22 નવેમ્બર સુધીમાં કોરોનાના 13,25,82,730 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે, રવિવારે 2ઉ નવેમ્બરે 8,49,596 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. તમામ રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યા વધારવા પર ખાસ ભાર મુકવામાં આવી રહ્યો છે.

coronavirus covid19 national news maharashtra gujarat india