Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 37,975 કેસ, 480 દર્દીઓનાં મોત

24 November, 2020 10:30 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 37,975 કેસ, 480 દર્દીઓનાં મોત

તસવીર: સુરેશ કારકેરા

દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 91 લાખને પાર થઈ ગઈ છે. જ્યારે કોરોનાને લીધે મૃત્યુ પામનારાઓની સંખ્યા 1.33 લાખને પાર થઈ ગઈ છે. થોડાક દિવસો પહેલા ચોવીસ કલાકમાં જ્યા 90,000થી વધુ કેસો નોંધાતા હતા તેમાં ઘણો મોટો ઘટાડો નોંધાયો હતો અને કોરોનાના સતત વધતા કેસમાં થોડાક સમય માટે આંશિક રાહત મળી હતી અને છેલ્લા કેટલાક દિવસથી 50,000 કરતા ઓછા કેસ નોંધાતા હતા. પરંતુ ગત અઠવાડિયે એક દિવસ 50,000 કરતા વધુ કેસ નોંધાયા બાદ ફરી ઘટાડો નોંધાયો છે. તેમાય છેલ્લા ચોવીસ કલાકમાં 40,000 કરતા ઓછા કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક પણ 500થી ઓછો રહેતા આંશિક રાહત મળી છે. જોકે, દરરોજ નોંધાતા કોરોના પૉઝિટિવ કેસોની સંખ્યામાં પહેલાની સરખામણીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. સાથે જ એક્ટિવ કેસોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે અને રિકવરી રેટની ટકાવારીમાં પણ વધારો જોવા મળ્યો છે.

મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 37,975 નવા કેસ નોંધાયા છે અને 480 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 91,77,841 કેસ થઈ ગયા છે. જેમાંથી 4,38,667 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 86,04,955 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 42,314 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધીમાં કુલ 1,34,218 લોકો મૃત્યુ પામ્યા છે. આ સાથે જ દેશમાં મોતનું પ્રમાણ 1.5 ટકા છે. જ્યારે રાહત આપતી વાત એ છે કે ભારતમાં હવે રિકવરી રેટ 93.7 ટકા સુધી પહોંચી ગયો છે.

મહારાષ્ટ્ર રાજ્ય દેશમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત છે. પરંતુ અહીં પણ છેલ્લા કેટલાક દિવસમાં કેસમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં અહીં નવા 4,153 કેસ નોંધાયા છે અને માત્ર 30 લોકોના મોત થયા છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ 3,729 લોકો સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 17,84,361 થઈ ગયો છે. તેમાંથી 82,915 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 46,653 લોકો મૃત્યુ પામ્યા છે અને 16,54,793 લોકો સારવાર બાદ સાજા થયા છે.

ગુજરાતમાં પણ છેલ્લા ઘણા દિવસોથી કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એક તબક્કે રોજ 1000થી વધારે કેસો નોંધાતા હતા પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસની સંખ્યા 1000ની અંદર આવી ગઈ હતી. પણ ફરી એકવાર 1000 કરતા વધુ કેસ નોંધાયા છે. અહીં કોરોના બેકાબુ બની રહ્યો છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં 1,487 નવા કેસ નોંધાયા હતા અને 17 લોકોના મોત થયા હતા. જ્યારે 1,234 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 1,98,899 થઈ ગયો છે. જેમાંથી 13,836 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 3,876 લોકોના મોત થયા છે અને 1,81,187 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.

નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં 23 નવેમ્બર સુધીમાં કોરોનાના 13,36,82,275 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે, સોમવારે 23 નવેમ્બરે 10,99,545 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. તમામ રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યા વધારવા પર ખાસ ભાર મુકવામાં આવી રહ્યો છે.

coronavirus covid19 national news india maharashtra gujarat