09 September, 2020 10:31 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
મહિલાનો કોરોના ટેસ્ટ કરતા આરોગ્ય કર્મચારી (ફાઈલ તસવીર)
દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. ભારતમાં કોરોનાનું સંક્રમણ ફરી વધ્યું છે. છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં કોરોનાના કેસમાં પણ વધારો નોંધાયો છે અને કોરોનાને લીધે જીવ ગુમાવનારાઓની સંખ્યામાં પણ વધારો થયો છે. દેશમાં એક દિવસ કોરોનાના આંકડાઓમાં ઘટાડો નોંધયા બાદ ફરી ઉછાળો માર્યો છે. બુધવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 89,852 નવા કેસ નોંધાયા છે અને 1,107 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 43,70,128 કેસ થઈ ગયા છે. જેમાંથી 8,97,394 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 33,98,844 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. જેમાં છેલ્લા ચોવીસ કલાકમાં 74,607 લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 73,890 લોકો મૃત્યુ પામ્યા છે.
મહારાષ્ટ્ર રાજ્ય દેશમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત છે. છેલ્લા ચોવીસ કલાકમાં અહીં 20,131 નવા કેસ નોંધાયા છે અને 380 લોકોના મોત થયા છે. જ્યારે 13,234 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 9,43,772 થઈ ગયો છે. તેમાંથી 2,43,809 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 27,407 લોકો મૃત્યુ પામ્યા છે અને 6,72,556 લોકો સારવાર બાદ સાજા થયા છે.
ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. મંગળવારે સાંજે નોંધાયેલા આંકડાઓ પ્રમાણે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં 1,259 નવા કેસ નોંધાયા હતા અને 13 લોકોના મોત થયા હતા. જ્યારે 1,445 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 1,06,966 થઈ ગયો છે. જેમાંથી 16,351 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 3,133 લોકોના મોત થયા છે અને 83,419 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં આઠ સપ્ટેમ્બર સુધીમાં કોરોનાના પાંચ કરોડથી વધુ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જ્યારે મંગળવારે 10,98,621 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તમામ રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગ સંખ્યા વધારવા પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે.