27 September, 2020 11:05 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
તસવીર: આશિષ રાજે
દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. ભારતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધતું જ જાય છે. ભારતમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા 59 લાખને પાર થઈ ગઈ છે. રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 88,600 નવા કેસ નોંધાયા છે અને 1,124 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 59,92,533 કેસ થઈ ગયા છે. જેમાંથી 9,56,402 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 49,41,628 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. તેમાંથી છેલ્લા ચોવીસ કલાકમાં 92,043 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધીમાં કુલ 94,503 લોકો મૃત્યુ પામ્યા છે. દેશમાં કોરોનાથી મોત થવાનું પ્રમાણ 1.6 ટકા છે. જ્યારે દેશમાં સાજા થવાનો દર 82.1 ટકા થયો છે.
મહારાષ્ટ્ર રાજ્ય દેશમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત છે. છેલ્લા ચોવીસ કલાકમાં અહીં 20,419 નવા કેસ નોંધાયા છે અને 430 લોકોના મોત થયા છે. જ્યારે 23,644 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 13,21,176 થઈ ગયો છે. તેમાંથી 2,69,535 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 35,191 લોકો મૃત્યુ પામ્યા છે અને 10,16,450 લોકો સારવાર બાદ સાજા થયા છે.
ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા આંકડાઓ પ્રમાણે, 1,417 નવા કેસ નોંધાયા હતા અને 13 લોકોના મોત થયા હતા. જ્યારે 1,419 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 1,31,808 થઈ ગયો છે. જેમાંથી 16,409 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 3,409 લોકોના મોત થયા છે અને 1,11,909 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં 26 સપ્ટેમ્બર સુધીમાં કોરોનાના 7,12,57,836 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે શનિવારે 9,87,861 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તમામ રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગ સંખ્યા વધારવા પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે.