02 October, 2020 10:54 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્ય 63 લાખને પાર થઈ ગઈ છે. શુક્રવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 81,484 નવા કેસ નોંધાયા છે અને 1,095 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 63,94,069 કેસ થઈ ગયા છે. જેમાંથી 9,42,217 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 53,52,078 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. તેમાંથી છેલ્લા ચોવીસ કલાકમાં 78,877 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધીમાં કુલ 99,773 લોકો મૃત્યુ પામ્યા છે.
મહારાષ્ટ્ર રાજ્ય દેશમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત છે. છેલ્લા ચોવીસ કલાકમાં અહીં 16,476 નવા કેસ નોંધાયા છે અને 394 લોકોના મોત થયા છે. જ્યારે 16,104 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 14,00,922 થઈ ગયો છે. તેમાંથી 2,59,440 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 37,056 લોકો મૃત્યુ પામ્યા છે અને 11,04,426 લોકો સારવાર બાદ સાજા થયા છે.
ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા આંકડાઓ પ્રમાણે, 1,351 નવા કેસ નોંધાયા હતા અને 10 લોકોના મોત થયા હતા. જ્યારે 1,334 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 1,38,745 થઈ ગયો છે. જેમાંથી 16,711 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 3,460 લોકોના મોત થયા છે અને 1,18,565 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં પહેલી ઓક્ટોબર સુધીમાં કોરોનાના 7,67,17,728 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે, શુક્રવારે 10,97,947 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તમામ રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યા વધારવા પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે.