30 September, 2020 10:37 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્ય 62 લાખને પાર થઈ ગઈ છે. મંગળવારે એક દિવસમાં નોંધાતા કોરોના સંક્રમિતોની સંખ્યામાં આંશિક રાહત મળ્યા બાદ બુધવારે સંક્રમિતોના આંકડાએ ફરી ઉછાળો માર્યો છે. બુધવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 80,472 નવા કેસ નોંધાયા છે અને 1,179 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 62,25,764 કેસ થઈ ગયા છે. જેમાંથી 9,40,441 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 51,87,826 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. તેમાંથી છેલ્લા ચોવીસ કલાકમાં 86,482 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધીમાં કુલ 97,497 લોકો મૃત્યુ પામ્યા છે.
મહારાષ્ટ્ર રાજ્ય દેશમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત છે. છેલ્લા ચોવીસ કલાકમાં અહીં 14,976 નવા કેસ નોંધાયા છે અને 430 લોકોના મોત થયા છે. જ્યારે 19,212 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 13,66,129 થઈ ગયો છે. તેમાંથી 2,60,789 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 36,181 લોકો મૃત્યુ પામ્યા છે અને 10,69,159 લોકો સારવાર બાદ સાજા થયા છે.
ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા આંકડાઓ પ્રમાણે, 1,381 નવા કેસ નોંધાયા હતા અને 11 લોકોના મોત થયા હતા. જ્યારે 1,383 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 1,36,004 થઈ ગયો છે. જેમાંથી 16,073 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 3,439 લોકોના મોત થયા છે અને 1,15,727 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં 29 સપ્ટેમ્બર સુધીમાં કોરોનાના 7,41,96,729 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે, મંગળવારે 10,86,688 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તમામ રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યા વધારવા પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે.