Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 74,442 કેસ, 903 દર્દીઓનાં મોત

05 October, 2020 11:05 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 74,442 કેસ, 903 દર્દીઓનાં મોત

ફાઈલ તસવીર

દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 66 લાખને પાર થઈ ગઈ છે. જ્યારે કોરોનાને લીધે મૃત્યુ પામનારાઓની સંખ્યા એક લાખને પાર થઈ ગઈ છે. પણ થોડી રાહતની વાત એ છે કે, થોડા દિવસો પહેલા ચોવીસ કલાકમાં 90 હજારથી વધુ કેસો સામે નોંધાતા હતા તેમાં ઘણો મોટો ઘટાડો નોંધાયો છે. સોમવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 74,442 નવા કેસ નોંધાયા છે અને 903 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 66,23,816  કેસ થઈ ગયા છે. જેમાંથી 9,34,427 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 55,86,704 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. તેમાંથી છેલ્લા ચોવીસ કલાકમાં 76,737 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધીમાં કુલ 1,02,685 લોકો મૃત્યુ પામ્યા છે. દેશમાં સાજા થવાનો દર 83.8 ટકા પર પહોંચ્યો છે. દેશમાં કોરોનાથી મોત થવાનું પ્રમાણ 1.6 ટકા છે. જ્યારે પૉઝિટિવ કેસની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં બીજા નંબર પર છે.

મહારાષ્ટ્ર રાજ્ય દેશમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત છે. છેલ્લા ચોવીસ કલાકમાં અહીં 12,548 નવા કેસ નોંધાયા છે અને 326 લોકોના મોત થયા છે. જ્યારે 15,048 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 14,43,409 થઈ ગયો છે. તેમાંથી 2,55,722 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 38,084 લોકો મૃત્યુ પામ્યા છે અને 11,49,603 લોકો સારવાર બાદ સાજા થયા છે.

ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા આંકડાઓ પ્રમાણે, 1,302 નવા કેસ નોંધાયા હતા અને 9 લોકોના મોત થયા હતા. જ્યારે 1,246 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 1,42,700 થઈ ગયો છે. જેમાંથી 16,809 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 3,496 લોકોના મોત થયા છે અને 1,22,233 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં ચોથી ઓક્ટોબર સુધીમાં કોરોનાના 7,99,82,394 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે, રવિવારે 9,89,860 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તમામ રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યા વધારવા પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

coronavirus covid19 national news india maharashtra