29 September, 2020 10:31 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
તસવીર: આશિષ રાજે
દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્ય 61 લાખને પાર થઈ ગઈ છે. પરંતુ બીજી તરફ આંશિક રાહતની વાત એ છે કે, એક દિવસમાં નોંધાતા કોરોના કેસોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. એક સમયે રોજેરોજ 90,000થી વધુ કેસો નોંધાતા હતા. પરંતુ થોડાક દિવસમાં તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 70,589 નવા કેસ નોંધાયા છે અને 776 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 61,45,292 કેસ થઈ ગયા છે. જેમાંથી 9,47,576 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 51,01,398 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. તેમાંથી છેલ્લા ચોવીસ કલાકમાં 84,877 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધીમાં કુલ 96,318 લોકો મૃત્યુ પામ્યા છે.
મહારાષ્ટ્ર રાજ્ય દેશમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત છે. છેલ્લા ચોવીસ કલાકમાં અહીં 11,921 નવા કેસ નોંધાયા છે અને 180 લોકોના મોત થયા છે. જ્યારે 19,932 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 13,51,153 થઈ ગયો છે. તેમાંથી 2,65,455 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 35,751 લોકો મૃત્યુ પામ્યા છે અને 10,49,947 લોકો સારવાર બાદ સાજા થયા છે.
ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા આંકડાઓ પ્રમાણે, 1,404નવા કેસ નોંધાયા હતા અને 12 લોકોના મોત થયા હતા. જ્યારે 1,336 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 1,34,461 થઈ ગયો છે. જેમાંથી 16,689 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 3,428 લોકોના મોત થયા છે અને 1,14,344 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં 28 સપ્ટેમ્બર સુધીમાં કોરોનાના 7,31,10,041 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યં1 છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે, સોમવારે 11,42,811 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તમામ રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગ સંખ્યા વધારવા પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે.