Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 55,342 કેસ, 706 દર્દીઓનાં મોત

13 October, 2020 11:40 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 55,342 કેસ, 706 દર્દીઓનાં મોત

તસવીર: આશિષ રાજે

દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 71 લાખને પાર ગઈ છે. જ્યારે કોરોનાને લીધે મૃત્યુ પામનારાઓની સંખ્યા એક લાખને પાર થઈ ગઈ છે. પણ થોડી રાહતની વાત એ છે કે, થોડા દિવસો પહેલા ચોવીસ કલાકમાં જ્યા 90 હજારથી વધુ કેસો નોંધાતા હતા તેમાં ઘણો મોટો ઘટાડો નોંધાયો છે. એટલે કે કોરોનાના વધતા કેસમાં આંશિક રાહત મળી છે. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં માત્ર 55,342 નવા કેસ નોંધાયા છે અને 706 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 71,75,881 કેસ થઈ ગયા છે. જેમાંથી 8,38,729 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 62,27,296 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. તેમાંથી છેલ્લા ચોવીસ કલાકમાં 77,760 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધીમાં કુલ 1,09,856 લોકો મૃત્યુ પામ્યા છે. દેશમાં સાજા થવાનો દર 83.8 ટકા પર પહોંચ્યો છે. દેશમાં કોરોનાથી મોત થવાનું પ્રમાણ 1.6 ટકા છે. જ્યારે પૉઝિટિવ કેસની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં બીજા નંબર પર છે.

મહારાષ્ટ્ર રાજ્ય દેશમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત છે. છેલ્લા ચોવીસ કલાકમાં અહીં 7,089 નવા કેસ નોંધાયા છે અને 165 લોકોના મોત થયા છે. જ્યારે 15,656 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 15,35,315 થઈ ગયો છે. તેમાંથી 2,12,905 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 40,514 લોકો મૃત્યુ પામ્યા છે અને 12,81,896 લોકો સારવાર બાદ સાજા થયા છે.

ગુજરાત રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા આંકડાઓ પ્રમાણે, 1,169 નવા કેસ નોંધાયા હતા અને 8 લોકોના મોત થયા હતા. જ્યારે 1,442 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 1,52,603 થઈ ગયો છે. જેમાંથી 15,414 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 3,574 લોકોના મોત થયા છે અને 1,33,615 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં નવ ઓક્ટોબર સુધીમાં કોરોનાના 8,89,45,107 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે સોમવારે 12 ઓક્ટોબરે 10,73,014 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. તમામ રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યા વધારવા પર ખાસ ભાર મુકવામાં આવી રહ્યો છે.

coronavirus covid19 national news india maharashtra gujarat