Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 46,791 કેસ, 587 દર્દીઓનાં મોત

20 October, 2020 11:31 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 46,791 કેસ, 587 દર્દીઓનાં મોત

ફાઈલ તસવીર

દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 76 લાખને પાર થઈ ગઈ છે. જ્યારે કોરોનાને લીધે મૃત્યુ પામનારાઓની સંખ્યા 1.15 લાખને પાર થઈ ગઈ છે. પણ થોડી રાહતની વાત એ છે કે, થોડા દિવસો પહેલા ચોવીસ કલાકમાં જ્યા 90,000થી વધુ કેસો નોંધાતા હતા તેમાં ઘણો મોટો ઘટાડો નોંધાયો છે. એટલે કે કોરોનાના વધતા કેસમાં આંશિક રાહત મળી છે અને છેલ્લા કેટલાક દિવસથી 70,000 કરતા ઓછા કેસ નોંધાય છે. તેમા પણ આજે 50,000 કરતા ઓછા કેસ નોંધાતા ચિંતા ઓછી થઈ છે. દેશમાં 83 દિવસ બાદ 50,000થી ઓછા કેસ નોંધાયા છે. દેશમાં દરરોજ નોંધાતા કોરોના પૉઝિટિવ કેસોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો હોવાથી હવે આશા બંધાઈ છે કે, કોરોનાથી ઝપડથી મુક્તિ મળી જશે.

મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 46,791 નવા કેસ નોંધાયા છે અને 587 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 75,97,064 કેસ થઈ ગયા છે. જેમાંથી 7,48,538 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 67,33,329 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 1,15,197 લોકો મૃત્યુ પામ્યા છે. દેશમાં સાજા થવાનો દર 83.8 ટકા પર પહોંચ્યો છે. દેશમાં કોરોનાથી મોત થવાનું પ્રમાણ 1.5 ટકા છે. જ્યારે પૉઝિટિવ કેસની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં બીજા નંબર પર છે.

મહારાષ્ટ્ર રાજ્ય દેશમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત છે. પરંતુ અહીં પણ છેલ્લા કેટલાક દિવસમાં કેસમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં અહીં 5,984 નવા કેસ નોંધાયા છે અને 125 લોકોના મોત થયા છે. જ્યારે 15,069 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 16,01,365 થઈ ગયો છે. તેમાંથી 1,74,246 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 42,240 લોકો મૃત્યુ પામ્યા છે અને 13,84,879 લોકો સારવાર બાદ સાજા થયા છે.

ગુજરાત રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા આંકડાઓ પ્રમાણે, 996 નવા કેસ નોંધાયા હતા અને 8 લોકોના મોત થયા હતા. જ્યારે 1,147 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 1,60,722 થઈ ગયો છે. જેમાંથી 14,255 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 3,643 લોકોના મોત થયા છે અને 1,59,564 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.

નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં 19 ઓક્ટોબર સુધીમાં કોરોનાના 9,61,16,771 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે, સોમવારે 19 ઓક્ટોબરે 10,32,795 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. તમામ રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યા વધારવા પર ખાસ ભાર મુકવામાં આવી રહ્યો છે.

coronavirus covid19 national news india maharashtra gujarat