Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 38,902 કેસ, 543 દર્દીઓનાં મોત

19 July, 2020 10:41 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 38,902 કેસ, 543 દર્દીઓનાં મોત

મુંબઈમાં પાલિકાના આરોગ્ય કર્મચારીઓ ઘરે ઘરે જઈને કોરોનાની તપાસ કરી રહ્યાં છે (તસવીર: સતેજ શિંદે)

દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના કેસમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ નોંધાવે છે. રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 38,902 નવા કેસ નોંધાયા છે અને 543 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 10,77,618 કેસ નોંધાયા છે. જેમાંથી 3,73,379 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 6,77,423 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે અને કુલ 26,816 લોકો મૃત્યુ પામ્યા છે.

મહારાષ્ટ્રમાં વધુ એકવાર છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. અહીં છેલ્લા ચોવીસ કલાકમાં 8,348 નવા કેસ નોંધાયા છે અને 144 લોકોના મોત થયા છે. જ્યારે 5,306 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 3,00,937 થઈ ગયો છે. તેમાંથી 1,23,678 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 11,596 લોકો મૃત્યુ પામ્યા છે અને 1,65,663 લોકો સારવાર બાદ સાજા થયા છે.

ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. શનિવારે સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં 960 નવા કેસ નોંધાયા હતા અને 19 લોકોના મોત થયા હતા. રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી 900 કે તેના કરતા વધુ કેસ નોંધાય છે. જ્યારે 1,061 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 47,390 થઈ ગયો છે. જેમાંથી 11,233 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 2,122 લોકોના મોત થયા છે અને 34,035 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં 18 જૂલાઈ સુધીમાં કોરોના વાયરસના કુલ 1,37,91,869 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે શનિવારે 3,58,127 ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

coronavirus covid19 national news india gujarat maharashtra