18 July, 2020 10:21 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: એએફપી
દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના કેસમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ નોંધાવે છે. શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 34,884 નવા કેસ નોંધાયા છે અને 671 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 10,38,716 કેસ નોંધાયા છે. જેમાંથી 3,58,692 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 6,53,751 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે અને કુલ 26,273 લોકો મૃત્યુ પામ્યા છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. અહીં છેલ્લા ચોવીસ કલાકમાં 8,308 નવા કેસ નોંધાયા છે અને 258 લોકોના મોત થયા છે. જ્યારે 2,217 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 2,92,589 થઈ ગયો છે. તેમાંથી 1,20,780 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 11,452 લોકો મૃત્યુ પામ્યા છે અને 1,60,357 લોકો સારવાર બાદ સાજા થયા છે.
ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. શુક્રવારે સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં 949 નવા કેસ નોંધાયા હતા અને 17 લોકોના મોત થયા હતા. રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી 900 કે તેના કરતા વધુ કેસ નોંધાય છે. જ્યારે 870 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 46,430 થઈ ગયો છે. જેમાંથી 11,351 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 2,106 લોકોના મોત થયા છે અને 32,973 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં 17 જૂલાઈ સુધીમાં કોરોના વાયરસના કુલ 1,34,33,742 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે શુક્રવારે 3,61,024 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.