Coronavirus Updates: છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયા ૨.૧૭ લાખ નવા કેસ, ૧૧૮૫ દર્દીઓના મોત

16 April, 2021 03:41 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

વિશ્વના ટૉપ ૨૦ કોરોના સંક્રમિત શહેરોની યાદીમાં ભારતના ૧૫ શહેરનો સમાવેશ

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં ચાલી રહેલી કોરોના વાયરસ (Coronavirus)ની બીજી લહેર દિવસેને દિવસે વધુ ખતરનાક થઈ રહી છે. કોરોના સંક્રમિતોની સંખ્યા દિવસેને દિવસે વધતી જ જાય છે. એટલું જ નહીં, વિશ્વના ટૉપ ૨૦ કોરોના સંક્રમિત શહેરોની યાદીમાં ભારતના ૧૫ શહેરો સામેલ છે. જેમાં પુણે શહેર ટૉપ પર છે અને માયાનગરી મુંબઈ બીજા નંબરે છે. એટલું જ નહીં દેશના ૧૨૦ જીલ્લાઓમાં હૉસ્પિટલમાં પથારીઓ, ઍક્સિજન  અને વેન્ટિલેટરની સુવિધાની અછત સર્જાઈ છે.

શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨,૧૭,૩૫૩ નવા કેસ નોંધાયા છે અને ૧,૧૮૫ દર્દીઓએ કોરોનાને લીધે જીવ ગુમાવ્યો છે. તેમજ ૧,૧૮,૩૦૨ દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સાજા થયા છે.

હવે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૧,૪૨,૯૧,૯૧૭ થઈ ગઈ છે. જોકે, અત્યાર સુધી ૧,૨૫,૪૭,૮૬૬ લોકો કોરોના સામે લડીને સાજા થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ ૧,૭૪,૩૦૮ દર્દીઓ કોરોનાને લીધે મૃત્ય પામ્યા છે. તેમજ હાલમાં ૧૫,૬૯,૭૪૩ એક્ટિવ કેસ છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)એ શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૫ એપ્રિલ સુધીમાં ભારતમાં કુલ ૨૬,૩૪,૭૬,૬૨૫ કોરોનના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, ગુરૂવારે ચોવીસ કલાકમાં ૧૪,૭૩,૨૧૦ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તેમજ દેશમાં કુલ ૧૧,૭૨,૨૩,૫૦૯ લોકોને કોરોના વાયરસની વૅક્સિન આપવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં કોરોનાએ ખરેખર કહેર વર્તાવ્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૧,૬૯૫ નવા કેસ નોંધાયા છે અને ૩૪૯ દર્દીઓનું મૃતયુ થયું છે. તેમજ ૫૩,૩૩૫ દર્દીઓ છેલ્લા ૨૪ કલાકમાં સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો ૬,૨૧,૬૪૬એ પહોંચી ગયો છે. અત્યાર સુધી કુલ ૩૬,૩૯,૮૫૫ કોરોનાના કેસ રાજ્યમાં નોંધાયા છે અને કુલ ૫૯,૧૫૩ લોકોના મૃત્યુ થયા છે.

ગુજરાતની વાત કરીએ તો અહીં છેલ્લા ચોવીસ કલાકમાં ૮,૧૫૨ કેસ નોંધાયા હતા અને ૮૧ દર્દીઓનું મૃત્યુ થયું હતું. રાજ્યમાં હાલ ૪૪,૨૯૮ એક્ટિવ કેસ છે. છેલ્લા ચોવીસ કલાકમાં ૩,૦૨૩ દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસનો આંકડો ૩,૭૫,૭૬૮એ પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં કુલ ૫,૦૭૬ લોકોના મોત થયા છે અને ૩,૨૬,૩૯૪ દર્દીઓ કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે.

coronavirus covid19 national news maharashtra gujarat