20 July, 2020 10:35 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈના ગ્રાન્ટ રોડ સ્થિત પાલિકાની શાળામાં કોરોના ટેસ્ટ કરતા પાલિકાના આરોગ્ય કર્મચારીઓ (તસવીર: આશિષ રાજે)
દેશમાં કોરોના વાયરસ (COVID-19) બેકાબૂ થઈ રહ્યો છે. દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. છેલ્લા ચોવીસ કલાકમાં 40,000 કરતા વધુ કેસ નોંધાયા છે અને આ આંકડાઓએ આજ સુધીના તમામ રેકૉર્ડ તોડી દીધા છે. સોમવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 40,425 નવા કેસ નોંધાયા છે અને 681 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 11,18,043 કેસ નોંધાયા છે. જેમાંથી 3,90,459 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 7,00,087 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે અને કુલ 27,497 લોકો મૃત્યુ પામ્યા છે.
મહારાષ્ટ્રમાં વધુ એકવાર છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. અહીં છેલ્લા ચોવીસ કલાકમાં 9,518 નવા કેસ નોંધાયા છે અને 258 લોકોના મોત થયા છે. જ્યારે 3,906 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 3,10,455 થઈ ગયો છે. તેમાંથી 1,29,032 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 11,854 લોકો મૃત્યુ પામ્યા છે અને 1,69,569 લોકો સારવાર બાદ સાજા થયા છે.
આ પણ વાંચો: મુંબઈની કોવિડનો રિકવરી રેટ દેશના રેટ કરતાં ૭ ટકા વધારે છે
ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાંય દિવસોથી અહીં 900થી વધુ કેસ નોંધાય છે. રવિવારે સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં 965 નવા કેસ નોંધાયા હતા અને 20 લોકોના મોત થયા હતા. જ્યારે 877 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 48,441 થઈ ગયો છે. જેમાંથી 11,312 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 2,147 લોકોના મોત થયા છે અને 34,882 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.
આ પણ વાંચો: ભારતમાં કોરોનાનું કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ: IMA
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં 19 જૂલાઈ સુધીમાં કોરોના વાયરસના કુલ 1,40,47,908 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે રવિવારે 2,56,039 ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.