12 September, 2025 10:31 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
સંતોનું કહેવું છે કે શ્રીરામની નગરી અયોધ્યાની રામલીલામાં હવે ફિલ્મી હીરો-હિરોઇનો ન આવવાં જોઈએ
અયોધ્યાના સાધુસંતોએ બાવીસમી સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી ફિલ્મી કલાકારોની રામલીલાના વિરોધમાં મોરચો ખોલી દીધો છે. સંતોનું કહેવું છે કે શ્રીરામની નગરી અયોધ્યાની રામલીલામાં હવે ફિલ્મી હીરો-હિરોઇનો ન આવવાં જોઈએ. તેમનું માનવું છે કે મર્યાદાપુરુષોત્તમ શ્રીરામની લીલાઓને ફિલ્મી અંદાજમાં પ્રસ્તુત કરવી એ મૂળ ભાવનાઓ સાથે છેડછાડ કરવા જેવું છે. સાધુસંતોની બેઠકમાં ઉપસ્થિત હનુમાનગઢીના પૂજારી અને સંકટમોચન સેનાના પ્રમુખ મહંત સંજય દાસે આ રામલીલાનો પ્રબળ વિરોધ કરતાં કહ્યું હતું કે ‘મનોરંજનની આડમાં ફિલ્મી રામલીલાથી મર્યાદાપુરુષોત્તમ શ્રીરામની મર્યાદા પ્રભાવિત થાય છે એટલું જ નહીં, તેમની લીલાને વિકૃત કરીને કરોડો રામભક્તોની આસ્થાને ચોટ પહોંચે છે. જે કલાકારોને રામલીલાનાં પવિત્ર પાત્રોની ભૂમિકા સોંપાય છે તે કલાકારો માંસ-મદિરાનું સેવન કરતા હોય છે. તેમનું અંગત જીવન ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાના મર્યાદાસભર જીવનથી એકદમ વિપરીત હોય છે એટલે તેઓ આ પાત્ર ભજવે એ સનાતન ધર્મનું ઘોર અપમાન છે.’