23 October, 2021 12:27 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
અમિત શાહ ( ફાઈલ ફોટો)
જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ પહેલી વાર કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ જમ્મુ કાશ્મીરના ત્રણ દીવસીય પ્રવાસ પર શ્રીનગર પહોંચ્યાં છે. ત્રણ દિવસના પ્રવાસ દમિયાન અમિત શાહ જમ્મુ કાશ્મીમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરશે, આ સાથે જ ગૃહપ્રધાન વિભિન્ન વિકાસ કાર્યોની પણ સમીક્ષા કરશે.
ભવિષ્યમાં તાજેતરની ટાર્ગેટ કિલિંગની ઘટનાઓને રોકવા અને આતંકવાદને મૂળમાંથી કચડી નાખવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે. શ્રીનગરમાં ગૃહમંત્રી શારજાહ માટે સીધી ફ્લાઈટ શરૂ કરશે. મુલાકાતને ધ્યાનમાં રાખીને જમ્મુ અને શ્રીનગરમાં ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. બંને સ્થળો પર ડ્રોન દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલયની સાથે સાથે વિવિધ સુરક્ષા એજન્સીઓ NIA, IB, CRPF, BSF ના વરિષ્ઠ અધિકારીઓ પણ સુરક્ષા સંબંધિત બેઠકોમાં શ્રીનગર પહોંચ્યા છે.
આ દરમિયાન લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને કેન્દ્રીય મંત્રી ડો.જીતેન્દ્ર સિંહે જમ્મુ અને શ્રીનગરમાં બેઠકો યોજી અને કાર્યક્રમોને આખરી ઓપ આપ્યો. ગૃહમંત્રી 24 ઓક્ટોબરે જમ્મુમાં હશે. અહીં તેઓ ભગવતી નગર ખાતે સભાને સંબોધિત કરશે. લાભાર્થી પરિષદમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના 80 લાભાર્થીઓને યોજના સંબંધિત પ્રમાણપત્રો અને દસ્તાવેજો સોંપવામાં આવશે. IIT જમ્મુના નવા બ્લોકનું ઉદ્ઘાટન કરવાની સાથે વિવિધ પ્રતિનિધિ મંડળોને મળવાનો કાર્યક્રમ પણ પ્રસ્તાવિત છે.
શુક્રવારે કેન્દ્રીય મંત્રી ડો. જિતેન્દ્ર સિંહે રેલી સ્થળ પર અધિકારીઓ સાથે તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. શ્રીનગર સચિવાલયમાં સુરક્ષા એજન્સીઓ અને વહીવટી અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને ડો.જીતેન્દ્ર સિંહે કાર્યક્રમોને અંતિમ રૂપ આપ્યું. સુરક્ષા બેઠકો તેમજ લાભાર્થી પરિષદ SKICC, શ્રીનગર ખાતે યોજાશે.