09 May, 2025 07:01 AM IST | Jammu and Kashmir | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
પહલગામ આતંકી હુમલા બાદ એની જવાબી કાર્યવાહીમાં ભારતે ઑપરેશન સિંદૂર (Operation Sindoor) શરૂ કર્યું. અનેક આતંકવાદીઓને ઠાર કરી નાખવામાં આવ્યા છે. આટ આટલું થયા બાદ પણ પાકિસ્તાન નાપાક હરકત કરવાનું ચૂકતું નથી. શ્રીનગરમાં પાકિસ્તાની સૈનિકએ કુપવાડામાં નિતંત્રણ રેખા પર વિના કારણે ગોળીબાર શરૂ જ રાખ્યો છે.
અહેવાલો મળી રહ્યા છે કે પાકિસ્તાની સૈન્યએ કર્નાહ વિસ્તારમાં નાગરિક વિસ્તારોને નિશાન બનાવ્યા છે. મધ્યરાત્રિ બાદ ગોળા અને મોર્ટાર છોડ્યા હતા. જોકે ભારતીય સશસ્ત્ર દળોએ પણ ઉશ્કેરણી વિનાના આ ગોળીબારનો અસરકારક રીતે જવાબ આપવામાં કોઈ કસર છોડી નથી. આ મામલે અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.
સશસ્ત્ર દળોએ જણાવ્યું હતું કે વિશ્વસનીય ગુપ્ત માહિતીના આધારે લક્ષ્યો પસંદ કરવામાં આવ્યા હતા અને કોઈપણ નાગરિક જાનહાનિ ટાળવા માટે સ્થાનો પસંદ કરવામાં આવ્યા હતા. ઑપરેશન સિંદૂર (Operation Sindoor)ના એક દિવસ બાદની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો પાકિસ્તાની સણીકો તરફથી થયેલા ગોળીબારમાં ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો છે.
૭-૮ મેની રાત્રે નિયંત્રણ રેખા (LoC) પર વિના કારણે જ નાના નાના હથિયારોથી થયેલા ગોળીબારનો ભારતીય સેનાએ જવાબ આપ્યો છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર પાકિસ્તાની સેનાએ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા, ઉરી અને અખનૂર વિસ્તારોમાં નિયંત્રણ રેખા (LoC) પર ગોળીબાર શરૂ જ રાખ્યો છે.
Operation Sindoor: "૭-૮ મેની રાત્રે પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ-કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા, ઉરી અને અખનૂર આ તમામ વિસ્તારોમાં નિયંત્રણ રેખાને પાર કરીને નાના હથિયારો અને તોપખાનાનો ઉપયોગ કરીને ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો હતો. જો કે ભારતીય સેનાએ પણ તેનો યોગ્ય જવાબ વાળ્યો છે." એમ ભારતીય સેનાએ જણાવ્યું હતું.
આ અગાઉ અહેવાલો અનુસાર પાકિસ્તાની સૈન્યએ જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (Loc) પર સરહદ પારથી તોપખાના અને મોર્ટાર વડે ગોળીબાર કર્યો હતો જેમાં ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા હતા અને 43 ભારતીયો ઘાયલ થયા હોવાનું પણ સંરક્ષણ અધિકારીઓએ (Operation Sindoor) જણાવ્યું છે. "ગઈકાલ રાતથી પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા તોપખાના ગોળીબારમાં પૂંછ અને તંગધારના નાગરિક વિસ્તારો પર હુમલો થયો છે. જેમાં 15 નિર્દોષ નાગરિકોના મોત થયા છે અને 43 અન્ય ઘાયલ થયા છે," એમ સંરક્ષણ અધિકારીઓએ ઉમેર્યું હતું.
ભારત તરફથી કરવામાં આવેલા જવાબી ઑપરેશન સિંદૂર (Operation Sindoor) બાદ હતાશ થયેલા પાકિસ્તાને ભારતીય નાગરિકોને નિશાન બનાવવાનું શરૂ જ રાખ્યું છે. ભારતે બુધવારે ઑપરેશન સિંદૂર હાથ ધર્યું હતું, જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (PoK)માં આતંકવાદી ઠેકાણાઓ પર પ્રભાવક હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં ઓછામાં ઓછા 80 આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે.