16 May, 2019 12:29 PM IST | નવી દિલ્હી | (પી.ટી.આઈ.)
અમિત શાહ અને મમતા બેનરજી
ભારતમાં ચૂંટણીઓના ઇતિહાસમાં પહેલી વખત ચૂંટણીપંચે પશ્ચિમ બંગાળની નવ બેઠકો પર ઉમેદવારોના પ્રચાર-કાર્યક્રમો એક દિવસ વહેલા એટલે કે ગુરુવારે રાતે ૧૦ વાગ્યે સમેટી લેવાનો આદેશ આપ્યો હતો. ૧૯ મેએ લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાનના ૨૪ કલાક પહેલાં શુક્રવારે પ્રચાર-પ્રવૃત્તિની પૂર્ણાહૂતિ નિર્ધારિત હતી, પરંતુ ચૂંટણીપંચે બંધારણની ૩૨૪મી કલમ હેઠળ કલકત્તામાં બીજેપી અને તૃણમૂલ કૉંગ્રેસના કાર્યકરોની હિંસાને કારણે પશ્ચિમ બંગાળમાં ચૂંટણીપ્રચાર ગુરુવારે રાતે ૧૦ વાગ્યે બંધ કરવાનો આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો : ચૂંટણી પ્રચાર દરમિયાન કમલ હાસન પર ફેંકવામાં આવ્યું ચપ્પલ, તપાસમાં જોડાઈ પોલીસ
નવી દિલ્હીમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં પ્રચાર વહેલો સમેટી લેવાના નિર્ણયની જાહેરાત કરતાં નાયબ ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે ‘ચૂંટણીપંચે બંધારણીય અધિકારોનો ઉપયોગ કરીને પહેલી વખત આવો નિર્ણય લીધો છે. પંચે રાજ્યમાં ગૃહ ખાતાના અગ્ર સચિવ અત્રિ ભટ્ટાચાર્ય અને સી.આઇ.ડી.ના અતિરિક્ત મહાનિયામક રાજીવ કુમારને તેમના પશ્ચિમ બંગાળના પોસ્ટિંગ્સ પરથી હટાવવાનો આદેશ આપ્યો હતો. કલકત્તામાં બીજેપીના પ્રમુખ અમિત શાહના રોડ-શો દરમ્યાન વ્યાપક હિંસા થઈ હતી.’