24 February, 2019 02:39 PM IST |
ગોરખપુરમાં મોદી
લોકસભા ચૂંટણી 2019 પહેલા નરેન્દ્ર મોદી સરકારે દેશના અન્નદાતાને આજે મોટી ભેટ આપી છે. પીએમ મોદીએ ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથની કર્મભૂમિ ગોરખપુરમાં ખેડૂતોને મોટી ભેટ આપવાની સાથે વિવિધ વિકાસ યોજનાનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ કર્યો. ફર્ટિલાઇઝર મેદાનમાં મંચ પરથી પીએમ મોદી ભાજપ કિસાન મોર્ચાના રાષ્ટ્રીય અધિવેશનના ઓપન સેશનમાં ખેડૂતોને અભિનંદન પણ આપ્યા.
ખેડૂતોને સન્માન નિધિ આપવાનું વચન વડાપ્રધાને પૂરું કરી દીધું છે. ઇન્ટરિમ બજેટમાં મોદી સરકારે તેની ઘોષણા કરી હતી. ગોરખપુરમાં આયોજિત જનસભામાં વડાપ્રધાને 1,01,06,880 ખેડૂતોના ખાતામાં સન્માન નિધિનું પહેલું ઇન્સ્ટોલમેન્ટ રૂ.2000 ડિજિટલી ટ્રાન્સફર કર્યા.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજનો દિવસ સામાન્ય નથી. દેશની આઝાદી પછી ખેડૂતો સાથે સંકળાયેલી સૌથી મોટી યોજના આજે શરૂ થઈ રહી છે. ગોરખપુરના લોકોને આજે આ ઐતિહાસિક અવસરના સાક્ષી બનવા માટે વિશેષ અભિનંદન. ગોરખપુરની ધરતી પર થઈ રહેલા આ કાર્યક્રમથી દેશના બે લાખ કોમન સર્વિસ સેન્ટર દ્વારા લાખો ખેડૂતો જોડાઈ રહ્યા છે.
મોદીએ કહ્યું, દૂધના વ્યવસાય, મત્સ્યપાલન સાથે જોડાયેલા ભાઈઓ-બહેનોને કિસાન ક્રેડિટ કાર્ડ યોજના સાથે જોડાવા માટે બહુ અભિનંદન. પહેલાની સરકારોએ યોજનાઓ તો બહુ બનાવી પરંતુ તેમની દાનત ખેડૂતોનું ભલું કરવાની હતી નહીં. એટલે તેઓ ક્યારેય યોગ્ય નિર્ણય લઇ શક્યા નહીં. ખેડૂતો સંપૂર્ણપણે સશક્ત હોય, તેના માટે અમે કાર્યરત છે. અમે ખેડૂતોને તે તમામ સાધન-સંસાધન આપીશું, જેથી 2022 સુધી તેમની આવક બમણી થઈ શકે.
આ પણ વાંચો: મન કી બાતઃPM મોદીએ કહ્યું,'આગામી મન કી બાત હવે ચૂંટણી બાદ'
CM યોગીએ કહ્યું- મોદીનો 55 વર્ષનો કાર્યકાળ 55 વર્ષની સરકારો પર ભારે
પ્રધાનમંત્રી કિસાન નિધિ કાર્યક્રમમાં સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે કામ કરવાની રીત નેતાઓએ પીએમ મોદી પાસેથી શીખવી જોઇએ. તેમણે જે કહ્યું તે કરીને બતાવ્યું છે. દેશમાં 55 વર્ષની સરકારના કાર્યકાળ પર પીએમ મોદીનો 55 વર્ષનો કાર્યકાળ ભારે છે. તેમણે કહ્યું કે કામ કેવી રીતે થવું જોઇએ તે કોઈ મોદી સરકાર પાસે શીખે. મોદી સરકારે દરેક લોકો માટે કંઇ ને કંઇ કર્યું છે.