16 June, 2024 07:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ
દરેક ભૂખ્યા જીવને ભોજન અને તરસ્યાને પાણી મળી રહે એવી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબની કરુણા ભાવનાથી ઘાટકોપરના આંગણે દરરોજ હજારો જરૂરિયાતમંદ ભાવિકોને ગરમાગરમ સાત્ત્વિક ભોજન અર્પણ કરવાના પારમાર્થિક પ્રકલ્પ ‘ગુરુ પ્રસાદ’ના શુભારંભ સ્વરૂપ ઉદ્ઘાટન સમારોહનું આજે ૧૬ જૂને સવારે ૯.૩૦ વાગ્યે આયોજન કરવામાં આવ્યું છે.
ઘાટકોપરમાં કોઈ ભૂખ્યું નહીં સૂએ એવા સંકલ્પ સાથે દરરોજના હજારો જરૂરિયાતમંદ ભાવિકોને ગરમ ભરપેટ ભોજન કરાવીને તેમની ક્ષુધાતૃપ્તિ કરવાની પરમ ગુરુદેવની પ્રેરણાએ સર્વમંગલ ટ્રસ્ટ યુએસએ સ્થિત શાહ હૅપીનેસ ફાઉન્ડેશનનાં રીકાબહેન મનુભાઈ શાહના સંયોગે આ મહાપ્રકલ્પ અમલમાં મુકાવાનો છે.
પારસધામ-ઘાટકોપર દ્વારા સંચાલિત થનારા આ મહાપ્રકલ્પ અંતર્ગત ભાવિકોને ભોજનના વિતરણની વ્યવસ્થા ઘાટકોપરના વિધાનસભ્ય પરાગ શાહ દ્વારા કરવામાં આવશે. ‘ગુરુ પ્રસાદ’ પ્રકલ્પનો ઉદ્ઘાટન સમારોહ પારસધામ, વલ્લભભાગ લેન, ટિળક રોડ, ઘાટકોપર-ઈસ્ટ ખાતે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના સાંનિધ્યમાં સમાજના અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાશે.