07 October, 2025 09:47 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાજ અને ઉદ્ધવ ઠાકરે (ફાઇલ તસવીર)
મહા વિકાસ આઘાડી (કૉંગ્રેસ, શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે અને એનસીપી શરદ પવાર જૂથ) માં મનસેના વડા રાજ ઠાકરેને પણ સામેલ કરવા અંગેની જોરદાર રાજકીય ચર્ચા શરૂ થઈ છે. મહા વિકાસ આઘાડીમાં કૉંગ્રેસ અને ઠાકરેની શિવસેના વચ્ચે આ અંગે તીવ્ર મતભેદ થયો છે. રાજ ઠાકરેને મહા વિકાસ આઘાડીમાં સામેલ કરવા મુદ્દે કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ હર્ષવર્ધન સપકાલ દ્વારા આપવામાં આવેલા નિવેદનનો ઠાકરેની શિવસેનાએ ઉગ્ર વિરોધ કર્યો છે. શું હર્ષવર્ધન સપકલ પાસે ખરેખર આ મુદ્દે નિર્ણય લેવાનો અધિકાર છે?, ઠાકરે જૂથના સાંસદ અરવિંદ સાવંતે હવે આ સીધો પ્રશ્ન કર્યો છે. તેઓ અકોલામાં આ મામલે બોલી રહ્યા હતા.
રાજ ઠાકરેને સામેલ ન કરવાનો કૉંગ્રેસનો વિચાર હોઈ શકે છે. જોકે, સાંસદ સાવંતે એમ પણ કહ્યું છે કે રાજ ઠાકરેને સામેલ કરવાનો અમારા વિચારને પુષ્ટિ મળી છે. દરમિયાન, ગઠબંધન વિશે બોલતા, ઉદ્ધવ ઠાકરેએ દશેરા મેળાવડામાં કહ્યું હતું કે અમે સાથે રહેવા માટે ભેગા થયા છીએ, સાવંતે આ સમયે ઉદ્ધવ ઠાકરેના આ નિવેદનની પણ યાદ અપાવી હતી. દરમિયાન, શું ઉદ્ધવ ઠાકરે રાજ ઠાકરેના મુદ્દા પર કૉંગ્રેસનો સાથ છોડી દેશે? આ પ્રશ્ન પર બોલતા તેમણે કહ્યું કે આ અંગે ઉદ્ધવ ઠાકરે નિર્ણય લેશે. જોકે, તેમણે એમ પણ કહ્યું છે કે રાજ ઠાકરે સાથે જવાના શિવસેનાના નિર્ણયની પુષ્ટિ થઈ ગઈ છે.
મુંબઈની કસ્તુરબા ગાંધી હૉસ્પિટલમાં પ્રબોધનકર ઠાકરેના પુસ્તક પર થયેલા વિવાદ પર પ્રતિક્રિયા આપતા સાવંતે તેની આકરી ટીકા કરી છે. પ્રબોધનકરના પુસ્તકને ફેંકવાની અને ચીફ જસ્ટિસ ભૂષણ ગવઈ પર હુમલો કરવાની વૃત્તિ એકસરખી છે, આ ઘટનાએ મહારાષ્ટ્રની સંસ્કૃતિને અધોગતિ આપી છે, તેમણે માગ કરી છે કે આ કેસમાં દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. તેમણે શિવસેનાના ચૂંટણી ચિન્હ અંગે આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં યોજાનારી અંતિમ સુનાવણી પર પણ ટિપ્પણી કરી છે. અરવિંદ સાવંતે કહ્યું છે કે આ મુદ્દા પર અંતિમ સુનાવણી મૂળરૂપે ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ચંદ્રચુડના કાર્યકાળ દરમિયાન થવાની અપેક્ષા હતી. બે દિવસ પહેલા રાજ ઠાકરે ફરી એકવાર માતોશ્રીની મુલાકાત લીધી હતી, ત્યારબાદ ગઠબંધનની ચર્ચા વધુ વધી ગઈ છે.
આગામી મહાનગર પાલિકા ચૂંટણીમાં રાજ અને ઉદ્ધવ ઠાકરે જો યુતિ કરે તો શું શિવસેના યુબીટી મહા વિકાસ આઘાડીમાંથી બહાર પડશે? કે પછી મનસે પણ એમવીએમાં સામેલ થશે? આ બાબત પર હવે બધાની નજર રહેશે. રાજ ઠાકરે રાહુલ ગાંધી તેમ જ શરદ પવારની અનેક વખત ટીકા કરતાં જોવા મળ્યા છે, જેથી શું આ બધી બાબતોનું ધ્યાન રાખીને ઠાકરે બંધુઓ ગઠબંધન કરશે કે નહીં? તે અંગે હજી સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.