24 November, 2020 05:21 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ ફોટો
કોરોનાના કહેર વચ્ચે મહારાષ્ટ્રમાં રાજકારણમાં હલચલ અચાનક વધી રહી છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન અને વિપક્ષ નેતા દેવન્દ્ર ફડણવીસે કહ્યું છે કે ભાજપની અગામી સરકારની રચના ગત વર્ષની જેમ દિવસ શરૂ થાય તે પહેલા નહી પરંતુ યોગ્ય સમયે કરવામાં આવશે. તેમની પહેલા સોમવારે કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવે પાટિલે કહ્યું હતું કે ભાજપ અગામી 2થી 3 મહિનામાં મહારાષ્ટ્ર સરકાર બનાવશે.
દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે મીડિયા સાથેની વાતચીતમાં આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે હાલની મહારાષ્ટ્ર વિકાસ અગાડી સરકારથી લોકો નારાજ છે. તેમની સરકાર પડ્યા પછી અમે સરકાર બનાવીશું. ફડણવીસનું નિવેદન મહારાષ્ટ્રમાં ગત વર્ષે ભાજપની સરકાર બન્યાના એક વર્ષ પછી આવ્યું છે. 23 નવેમ્બર 2019ના રોજ ફડણવીસે નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના નેતા અજિત પવારના સમર્થનથી સરકાર બનાવી હતી. જોકે તેમની સરકાર 80 કલાક જ ચાલી શકી હતી.
આ પણ વાંચોઃ કોરોનાની વેક્સિનનો જવાબ નથી અમારી પાસે, રાજ્યો અગ્રેસિવ ટેસ્ટિંગ કરે: વડાપ્રધાન
ગયા વર્ષે પૂર્વ મુખ્ય પ્રધાને અચાનક સવાર-સવારમાં સરકાર બનાવવાની જાહેરાત કરીને ચોંકાવી દીધા હતા. આ વખતે કહી રહ્યાં છે કે યોગ્ય સમયે શપથ લેશે. ફડણવીસના નિવેદન પહેલા સોમવારે કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવે પાટિલે કહ્યું હતું કે ભાજપ અગામી 2થી 3 મહિનામાં મહારાષ્ટ્ર સરકાર બનાવશે. તેના માટે પાર્ટીએ તૈયારી કરી લીધી છે. તેઓ ઔરંગાબાદ સ્નાતક નિર્વાચન ક્ષેત્રમાં આગામી મહિને થનાર વિધાનસભા ચૂંટણી માટે પરભણીમાં ચૂંટણીના પ્રચાર માટે ગયા હતા.
જોકે શિવસેના નેતા સંજય રાઉતે સ્પષ્ટપણે કહ્યું કે, અમારી સરકાર બાકીના 4 વર્ષ પૂર્ણ કરશે. વિપક્ષના નેતા હતાશામાં વાત કરી રહ્યાં છે, કારણ કે તેમના દરેક પ્રયત્નો નિષ્ફળ ગયા છે. તેઓ સારી રીતે જાણે છે કે મહારાષ્ટ્રના લોકો સરકારની સાથે છે. ગત વર્ષે જે 3 દિવસની સરકાર બની હતી, તેની આજે ડેથ એનિવર્સરી છે.