15 February, 2026 07:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વૉટરરૂટ્સની ચકાસણીનો રિપોર્ટ આ પહેલાં જ તૈયાર કરી લેવાયો છે.
રોજેરોજ મુંબઈના ટ્રાફિક જૅમમાં ફસાતા મુંબઈગરાઓ માટે સારા સમાચાર છે. ટ્રાફિક જૅમની સમસ્યાનો ઉકેલ લાવવા હવે મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં વૉટર મેટ્રો ચાલુ કરવાનું સરકાર વિચારી રહી છે. એ અંતર્ગત મુંબઈ, મીરા-ભાઈંદર, વસઈ–વિરાર, કલ્યાણ અને થાણે એમ કુલ ૧૦ વૉટરરૂટ તૈયાર કરવાનો પ્રસ્તાવ છે. વૉટર મેટ્રો જો ચાલુ થશે તો એને કારણે મુંબઈગરાઓના પ્રવાસમાં મોટો બદલાવ જોવા મળશે એવો દાવો સરકારે કર્યો છે.
મહારાષ્ટ્ર મૅરિટાઇમ બોર્ડ દ્વારા ઑગસ્ટ મહિનામાં અપાયેલા અહેવાલમાં કુલ ૮૫ કલોમીટરના વિસ્તારમાં ૨૧ રૂટ દર્શાવવામાં આવ્યા હતા. હવે એમાં ૧૦નો વધારો કરવામાં આવ્યો છે. કુલ ૨૦૦ કિલોમીટરનું અંતર વૉટર મેટ્રોમાં સાંકળી લેવાશે. કેન્દ્ર સરકારના સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર ૬૦ ટકા અને રાજ્ય સરકાર ૪૦ ટકા રોકાણ કરશે.
આ બાબતે મૅરિટાઇમ બોર્ડે કહ્યું હતું કે ‘મુંબઈને વૉટર ટ્રાન્સપોર્ટની જરૂર છે. આ વૉટરરૂટ્સની ચકાસણીનો રિપોર્ટ આ પહેલાં જ તૈયાર કરી લેવાયો છે. હવે એનું એક્સ્ટેન્શન કરીને જે બીજા ૧૦ રૂટ તૈયાર કરવાના છે એના ડીટેલ્ડ પ્લાનિંગ માટે કોચી મેટ્રો લિમિટેડની નિમણૂક કરવામાં આવી હતી અને તેમના દ્વારા પણ એ કામ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે.’