18 November, 2020 11:02 AM IST | Mumbai | Mumbai Correspondent
હિન્દુ હૃદયસમ્રાટ શિવસેનાપ્રમુખ બાળ ઠાકરેની ગઈ કાલે આઠમી પુણ્યતિથિ હતી એ નિમિત્તે ગઈ કાલે સવારે શિવાજી પાર્ક ખાતેના બાળ ઠાકરેના સ્મૃતિસ્થળે શિવસેનાના કાર્યકરો અને નેતાઓ અભિવાદન કરવા ગયા હતા. મુખ્ય પ્રધાન અને બાળ ઠાકરેના પુત્ર ઉદ્ધવ ઠાકરેએ પણ પરિવાર સાથે પિતાને આદરાંજલિ આપી હતી. તસવીર : પી.ટી.આઇ.
રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા (આઠવલે)ના પ્રમુખ રામદાસ આઠવલેએ ગઈ કાલે જણાવ્યું હતું કે ભવિષ્યમાં શિવસેના, રિપબ્લિકન પાર્ટી અને બીજેપીનું ગઠબંધન બાળાસાહેબને ખરી શ્રદ્ધાંજલિ ગણાશે. શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેની આઠમી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ રૂપે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર ઉપરોક્ત નોંધ લખી હતી.
કેન્દ્રના સામાજિક ન્યાય અને સશક્તીકરણ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન રામદાસ આઠવલેએ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘શિવશક્તિ, ભીમશક્તિ અને બીજેપી (ભગવા રંગી પક્ષો અને દલિતો)ની એકતા બાળાસાહેબનું સપનું હતું, પરંતુ કમનસીબે એ સપનું તૂટી ગયું.’
ઘણાં વર્ષોના શિવસેના અને બીજેપીના ગઠબંધનનું પુનરાવર્તન ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પછી સરકારની રચના વખતે શક્ય બન્યું નહોતું. મુખ્ય પ્રધાનપદ અઢી-અઢી વર્ષ માટે વારાફરતી ભોગવવા સહિત કેટલાક મુદ્દે થયેલા મતભેદને કારણે બન્ને પક્ષની ગઠબંધનની મંત્રણા ભાંગી પડી હતી. ત્યાર પછી શિવસેનાને મુખ્ય પ્રધાનપદની શરતે કૉન્ગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ સાથે ગઠબંધન કરીને મહા વિકાસ આઘાડી રચાઈ હતી અને એ આઘાડીની સરકાર રચાઈ હતી.