ઉદ્ધવ ઠાકરે કેન્દ્ર સરકાર પર ગરજ્યા

22 April, 2026 07:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મમતા બૅનરજી જેવી વાઘણ સામે લડવા માટે બંગાળમાં બે લાખ જવાનોને ખડકી દેવાયા, મણિપુર સળગતું હતું ત્યારે તો માત્ર ૩૦,૦૦૦ જવાન તહેનાત હતા

ઉદ્ધવ ઠાકરે

શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC)ને હરાવવા માટે કેન્દ્રએ બે લાખથી વધુ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનોને તહેનાત કરી દીધા છે.

ભારતીય કામગાર સેનાની સામાન્ય સભાને સંબોધતાં ઉદ્ધવ ઠાકરેએ સવાલો ઉઠાવતાં કહ્યું હતું કે ‘જ્યારે મણિપુર હિંસામાં બળી રહ્યું હતું ત્યારે ત્યાં માત્ર ૩૦,૦૦૦ CRPF જવાનો હતા, પરંતુ મમતા બૅનરજી જેવી ‘વાઘણ’ સામે લડવા માટે બંગાળના ખૂણેખૂણામાં બે લાખ જેટલા જવાનો ખડકી દીધા છે. જો રાજ્યના દરેક ખૂણે સુરક્ષા દળો હશે તો જનતા નિર્ભય થઈને મતદાન કેવી રીતે કરી શકશે?’

નોંધનીય છે કે પશ્ચિમ બંગાળની ૨૯૪ બેઠકો માટે ૨૩ અને ૨૯ એપ્રિલે મતદાન થવાનું છે અને મતગણતરી ૪ મેએ હાથ ધરવામાં આવશે.

mumbai news mumbai uddhav thackeray mamata banerjee trinamool congress maharashtra political crisis indian politics west bengal shiv sena