08 September, 2025 07:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
થાણે રાસ રંગ 2025ના ભૂમિપૂજન પ્રસંગે શનિવારે નરેશ મ્હસ્કે, જિતેન્દ્ર મહેતા, સચિન મીરાણી, શ્રીરામ ઐયર, મેહુલ ગંગર તથા અન્ય કલાકારો અને આયોજન સમિતિની ટીમ.
થાણે રાસ રંગ 2025ના ચૅરમૅન જિતેન્દ્ર મહેતાએ શનિવારે જણાવ્યું હતું કે આ વખતે નવરાત્રિ ઉત્સવની ઉજવણી થાણે-વેસ્ટના રેમન્ડ ગ્રાઉન્ડમાં થશે.
થાણેના સાંસ્કૃતિક કૅલેન્ડરમાં શિરમોર બની ગયેલી આ ઇવેન્ટનું ભૂમિપૂજન શનિવારે થાણે-વેસ્ટના રેમન્ડ ટ્રેડ શો હૉલમાં યોજાયું હતું. આ ઉત્સવ સચિન મીરાણીના પ્રમુખપદે CREDAI MCHI થાણે દ્વારા ધર્મવીર આનંદ દીઘે પ્રતિષ્ઠાનના સંગાથે યોજાઈ રહ્યો છે.
બાવીસ સપ્ટેમ્બરથી પહેલી ઑક્ટોબર સુધી યોજાનારા થાણે રાસ રંગ 2025 ઉત્સવમાં આ વખતે સેલિબ્રિટી સિંગર શ્રીરામ ઐયર તથા મેહુલ ગંગરનું બૅન્ડ મુખ્ય આકર્ષણ છે. આ ઉપરાંત તેજદાન ગઢવી, કવિતા રામ, શીતલ બારોટ, આરતી વારા અને અંબર દેસાઈ જેવાં ગાયકો થાણે રાસ રંગ 2025માં ધૂમ મચાવશે.
શનિવારના ભૂમિપૂજનના પ્રસંગે થાણેના સંસદસભ્ય નરેશ મ્હસ્કે મુખ્ય અતિથિ હતા. થાણેના કલ્ચરલ લૅન્ડસ્કેપને આકાર આપવામાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની ભૂમિકાનો તેમણે ઉલ્લેખ કરીને કહ્યું હતું કે થાણે રાસ રંગ પરિવારો માટે નવરાત્રિ ઉત્સવ ઊજવવાની એક સુરક્ષિત તક પૂરી પાડે છે.