03 June, 2026 10:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મહારાષ્ટ્ર દેવસ્થાન ઇનામ નિર્મૂલન કાયદો રદ કરવા માટેનું આવેદનપત્ર રેવન્યુપ્રધાન ચંદ્રશેખર બાવનકુળેને સોંપી રહેલા કૅબિનેટપ્રધાન મંગલ પ્રભાત લોઢા તથા મુંબઈ જૈન સંઘ સંગઠન વતી નીતિન વોરા અને અતુલ શાહ.
શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠને મહારાષ્ટ્રના રેવન્યુપ્રધાન ચંદ્રશેખર બાવનકુળેની સાથે ગઈ કાલે મંત્રાલયમાં મીટિંગ કરી હતી. કૅબિનેટપ્રધાન મંગલ પ્રભાત લોઢાની આગેવાની હેઠળ શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન વતી નીતિન વોરા, હિરેન શાહ અને અતુલ શાહે આવેદનપત્ર આપીને મહારાષ્ટ્ર દેવસ્થાન ઇનામ નિર્મૂલન કાયદો રદ કરવાની વિનંતી કરી હતી.
ચંદ્રશેખર બાવનકુળેએ આશ્વાસન આપ્યું હતું કે મંદિરોમાંથી ૧૨ મેમ્બરો તેમ જ મંત્રાલયના ૪ અધિકારીઓની એક સમિતિ નક્કી કરવામાં આવશે અને દેવસ્થાન તેમ જ જૈન ટ્રસ્ટો વતી શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠનને પણ આ કમિટીમાં લેવામાં આવશે, એમાં તેમનાં સૂચનો પર વિચાર કરવામાં આવશે.
આ દરમ્યાન વાંધા-સૂચનો નોંધાવવા માટેની તારીખ ૩૦-૬-૨૦૨૬ સુધી લંબાવવા માટેની વિનંતીનો તેમણે સ્વીકાર કર્યો હતો અને આવતી કાલે કમિટીની જાહેરાત કરવામાં આવશે એવું આશ્વાસન આપ્યું હતું.