સુશાંતસિંહના પિતા પરની ટિપ્પણી સંજય રાઉતને ભારે પડી શકે છે

11 August, 2020 12:15 PM IST  |  Mumbai | Mumbai correspondent

સુશાંતસિંહના પિતા પરની ટિપ્પણી સંજય રાઉતને ભારે પડી શકે છે

સંજય રાઉત

બૉલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ વિશે બિહાર અને મુંબઈ પોલીસ વચ્ચે રાજકારણ ખેલાઈ રહ્યું છે. શિવસેનાના રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉતે શિવસેનાના મુખપત્ર ‘સામના’માં ગઈ કાલે કે. કે. સિંહ પર આરોપ મૂકતાં લખ્યું હતું કે સુશાંતસિંહના પિતા કે. કે. સિંહે બીજાં લગ્ન કર્યાં હતાં, જેને કારણે નારાજ થઈને તેઓના તેમના પિતા સાથેના સંબંધો સામાન્ય નહોતા. જોકે સુશાંતસિંહના મામા આર. કે. સિંહે સુશાંતસિંહના પિતાનાં બીજાં લગ્નની વાતને રદિયો આપ્યો હતો.

હવે સુશાંતસિંહના પિતા અને કાકાના દીકરા નીરજસિંહ બબલુ સંજય રાઉતના આ બયાન વિરુદ્ધ માનહાનિનો દાવો માંડશે એવું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત નીરજસિંહે સંજય રાઉત દ્વારા લગાવવામાં આવેલો આરોપ આધારહીન અને ખોટો ગણાવીને તેમની પાસે જાહેરમાં માફી માગવાની માગણી કરી છે તથા જો તેઓ એમ નહીં કરે તો કાનૂની કાર્યવાહીની ધમકી પણ આપી છે.

જોકે સંજય રાઉતે કહ્યું હતું કે ‘સુશાંતસિંહ મુંબઈનો છોકરો છે અને તેને ન્યાય અપાવવાની જવાબદારી અમારી છે. આ સંપૂર્ણ કેસ સાથે આદિત્ય ઠાકરેને કોઈ સંબંધ નથી. તેઓ સુશાંતસિંહ રાજપૂતને ન્યાય અપાવશે. બિહારમાં ચૂંટણી નજીક આવી રહી હોવાથી સુશાંતસિંહના કેસમાં રાજકારણ રમાઈ રહ્યું છે.’

સંજય રાઉતના નિવેદનને પગલે કૉન્ગ્રેસના નેતા સંજય નિરુપમે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે ‘શિવસેના સુશાંતસિંહના કેસમાં સંવેદનશીલતા દાખવે, હલકાપણું નહીં. પ્રત્યેક પરિવારની એક કહાની હોય છે. શિવસેનાના સંસદસભ્યોની પણ છે, પરંતુ સુશાંતસિંહના મૃત્યુ બાદ તેમણે થોડી સંવેદનશીલતા દાખવવી જોઈતી હતી.’

mumbai mumbai news maharashtra sanjay raut sushant singh rajput rhea chakraborty shiv sena Crime News mumbai crime news mumbai police