31 October, 2019 03:35 PM IST | Mumbai
આદિત્ય ઠાકરે
Mumbai : મહારાષ્ટ્રમાં સત્તા માટેનો જંગ હજુ ચાલું છે. સત્તામાં બેસવા માટે ભાજપ અને શિવસેના પોતાનો દમ દેખાડી રહ્યો છે. ત્યારે ગુરૂવારે શિવસેનાએ ધારાસભ્યોની બેઠક યોજી છે. જેમાં પક્ષના નવા નેતાની પસંદગી કરવામાં આવશે. આ બેઠક મુંબઇના શિવસેના ભવનમાં યોજાઇ છે. સુત્રો દ્રારા મળી રહેલ માહિતી પ્રમાણે આદિત્ય ઠાકરેની પસંદગી લગભગ નક્કી ગણવામાં આવી રહ્યું છે. જોકે આ પહેલા ભાજપે દેવેન્દ્ર ફડણવીસને પક્ષના નેતા કરીતે ચુટ્યા હતા.
ભાજપ ડેપ્યુટી સીએમ સાથે 13 મંત્રી પદ આપવા માટે તૈયાર
મહારાષ્ટ્રમાં NDA ની સરકાર બનાવવા માટે ભાજપ આ વખતે શિવસેનાને ડેપ્યુટી સીએમ અને 13 મંત્રી પદ આપવા માટે તૈયાર છે. ગત મહારાષ્ટ્રની સરકારમાં શિવસેનાને 6 કેબિનેટ અને 7 રાજ્યમંત્રી પદ ભાજપે આપ્યા હતા. સુત્રો દ્રારા મળી રહેલ માહિતી પ્રમાણે ભાજપ શિવસેનાને ડેપ્યુટી સીએમ પદ આપવા માટે તૈયાર છે પણ ગૃહ મંત્રાલય પદ આપવા માટે તૈયાર નથી.
‘ભાજપને રાજધર્મનું પાલન કરવું જોઇએ’
શિવસેનાના ધારાસભ્યોની બેઠક પહેલા સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે કહ્યું, ‘‘ગઠબંધન આજે પણ છે તે હું પણ માનું છું. પરંતુ આપણને તેના રાજધર્મનું પાલન કરવું જોઇએ. સત્તાની સ્થાપના માટે 50-50નો ફોર્મ્યુલા નક્કી કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી પદ સાથે અન્ય મહત્વપૂર્ણ પદોની પણ સમાન રૂપે વહેચણી થવી જોઇએ. જો ભાજપ પાસે બહુમત છે તો તેને સત્તાનો દાવો કરવો જોઇએ.’’
શિવસેના કોઇ બચ્ચા પાર્ટી નથી : રાઉત
રાઉતે આગળ કહ્યું, ‘‘જો ભાજપના મોટા નેતા કહી રહ્યા હોય કે અમારી પાસે વિકલ્પ ખુલા છે તો શિવસેના કોઇ બચ્ચા પાર્ટી નથી. અમે 50 વર્ષથી જૂની પાર્ટી છીએ. વિકલ્પ દરેક પાસે ખુલા છે. ’’ ભાજપના નેતા સુધીર મુનગંટીવાર દ્વારા શિવસેના માટે વિનાશકાળે વિપરિત બુદ્ધિ જેવા શબ્દોના ઉપયોગ પર રાઉતે કહ્યું કે તેઓ પોતાના વિશે આવું કહી રહ્યા છે.
આ પણ જુઓ : Maharashtra Assembly Polls: આમિર ખાન, શાહરૂખ ખાન, ગોવિંદાએ કર્યું મતદાન....
ભાજપે હજુ સુધી અમારો કોઇ જ સંપર્ક કર્યો નથી : ઉદ્ધવ ઠાકરે
ભાજપ તરફથી શિવસેના સાથે મળીને ગઠબંધન સરકાર બનાવવાના દાવા વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે સરકાર બનાવવા માટે ભાજપ તરફથી હજુ સુધી કોઇ સંપર્ક કરવામાં આવ્યો નથી. બુધવારે માતોશ્રીમાં પત્રકારો સાથે અનૌપચારિક વાતચીતમાં ઉદ્ધવે કહ્યું કે જે સંભવ થશે તે બધુ કરીશ.