13 April, 2021 09:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નાલાસોપારાની હૉસ્પિટલ
મુંબઈ સહિત આખા રાજ્યમાં જે રીતે કોરોનાએ કેર વર્તાવ્યો છે એમાં ગઈ કાલે સાંજે નાલાસોપારા (ઈસ્ટ)માં આચોલે રોડ પર આવેલી વિનાયક હૉસ્પિટલમાં ઑક્સિજનની ઊણપને લીધે સાત દરદીઓનાં મોત થયાં હોવાનું કહેવાય છે. આ પહેલાં ગઈ કાલે સવારે જ વસઈ-વિરારની સત્તાધારી પાર્ટીના એક ભૂતપૂર્વ નગરસેવકનું પણ ઑક્સિજન ન હોવાને લીધે મૃત્યુ થયું હોવાની ઘટના સામે આવી હતી. ગઈ કાલ સાંજની ઘટના બાદ મૃતકના પરિવારજનોએ હૉસ્પિટલ પર હંગામો કર્યો હતો. જોકે પોલીસે આવીને મામલો થાળે પાડ્યો હતો. મૃતકના પરિવારજનોનો આરોપ છે કે જો હૉસ્પિટલે તેમને સમય રહેતાં જણાવ્યું હોત કે ઑક્સિજનની કમી છે તો તેમણે પોતાના સ્વજનોને બીજી હૉસ્પિટલમાં શિફ્ટ કરી દીધા હોત.