સાક્ષાત્ ભગવાનનાં દર્શન ડૉક્ટરોના રૂપમાં અમને થયાં

01 October, 2022 11:09 AM IST  |  Mumbai | Rohit Parikh

આવું કહેવું છે અમદાવાદથી મુંબઈ પોતાના પાંચ મહિનાના દીકરાની લિવર ટ્રાન્સપ્લાન્ટની સારવાર માટે મુંબઈ આવેલા પિતાનું. તેમનું કહેવું છે કે અમારું બાળક હવે સામાન્ય બાળકની જેમ જીવન જીવી શકશે

અમદાવાદના પાંચ મહિનાના બાળકના લિવર ટ્રાન્સપ્લાન્ટની સફળતા પછી બાળક અને તેના પિતાની સાથે ગ્લોબલ હૉસ્પિટલ, મુંબઈની મેડિકલ ટીમ

ઘણી પ્રાર્થના પછી અમને ભગવાનના આશીર્વાદ તરીકે બાળક મળ્યું હતું. જોકે તેના જન્મના થોડા દિવસોમાં જ અમારું બાળક બીમાર રહેવા લાગ્યું હતું. તેની તબિયત લથડતાં અમે એક તબક્કે તો ડરી ગયા હતા કે અમારું બાળક અમારે ગુમાવવું પડશે, પરંતુ અમારા સદનસીબે અમને મુંબઈના પરેલમાં આવેલી ગ્લોબલ હૉસ્પિટલના ડૉક્ટરો ભગવાનરૂપે મળ્યા અને તેના લિવર ટ્રાન્સપ્લાન્ટ પછી અમને હવે સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારું બાળક હવે અન્ય સામાન્ય બાળકની જેમ જીવન જીવી શકશે. 

આ શબ્દો છે અમદાવાદના નવાપાડા વિસ્તારમાંથી તેમના પાંચ મહિનાના બાળકને લઈને મુંબઈની ગ્લોબલ હૉસ્પિટલમાં આવેલા બાળકના પિતા રામેન્દ્ર સોનીના. રામેન્દ્ર સોનીનું આ એકમાત્ર સંતાન છે.   

અમદાવાદથી ડોનર સાથે બ્લડ ગ્રુપ મેચ ન થતું હોય એવું બ્લડ-ગ્રુપ ધરાવતા સાવ જ નાની ઉંમરના બાળકને ગ્લોબલ હૉસ્પિટલમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે તેનાં માતા-પિતા લઈને આવ્યાં હતાં. આ બાળકનું બ્લડ-ગ્રુપ મેચ ન થતું હોવાથી પહેલાં તેના બ્લડના ઍૅન્ટિ-બૉડીઝ દૂર કરવા માટે ડિસેન્સિટાઇઝેશન કરવું પડ્યું હતું જેથી તેનું શરીર ટ્રાન્સપ્લાન્ટ કરેલા અંગને સ્વીકારી શકે.

પાંચ મહિનાનું આ શિશુ ટાયરોસિનેમિયાથી પીડાતું હતું. તે તીવ્ર ક્રોનિક લિવર ફેલ્યર સાથે હૉસ્પિટલમાં ઍૅડ્મિટ થયું હતું. ટાયરોસિનેમિયા એ મેટાબોલિક લિવર ડિસઓર્ડર છે જે આનુવંશિક ખામીને કારણે થાય છે. આ ઉપરાંત અન્ય સામાન્ય બાળ ચયાપચયની વિકૃતિઓ વિલ્સન રોગ અને હિમોક્રોમેટોસિસ છે. બાળકને પ્રોગેસિવ કમળો, જલોદર અને બદલાયેલ સેન્સરિયમ સાથે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. તાત્કાલિક લિવર ટ્રાન્સપ્લાન્ટ એ તેનું જીવન બચાવવાનો એકમાત્ર વિકલ્પ હતો. જોકે પરિવારમાં કોઈ બ્લડગ્રુપ મૅચ થાય એવા ડોનર ઉપલબ્ધ નહોતા. આથી તેના ડોનર પિતા સાથે ૧૨ સપ્ટેમ્બરના એબીઓ અસંગત લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. જ્યારે એબીઓ અસંગત લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે ત્યારે જેના શરીરમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોય તેના લોહીમાં ઍૅન્ટિ-બૉડી સ્તરોની તપાસ કરવામાં આવે છે અને તેના ઍૅન્ટિ-બૉડી સ્તરના આધારે મોનોક્લોનલ ઍૅન્ટિ-બૉડીઝના સ્વરૂપમાં રોગપ્રતિકારક શક્તિ અને રક્ત પ્લાઝમા ફિલ્ટરેશન કરવામાં આવતા હોય છે. આ બાળકના કિસ્સામાં ઍૅન્ટિ-બૉડીનું સ્તર સ્વીકાર્ય મર્યાદામાં હતું અને મોનોક્લોનલ ઍૅન્ટિ-બૉડીઝ અથવા પ્લાઝમા ફિલ્ટરેશનની જરૂર નહોતી. બાળકનું સફળ એબીઓ અસંગત લિવર ટ્રાન્સપ્લાન્ટ થયું. નવા ઇમ્યુનોસપ્રેસન પ્રોટોકોલ્સ સાથે એબીઓ અસંગત ટ્રાન્સપ્લાન્ટનો સફળતા દર પ્રમાણભૂત ટ્રાન્સપ્લાન્ટ જેવો જ હોય ​​છે. હાલમાં બાળક સ્વસ્થ થઈ રહ્યું છે અને સામાન્ય જીવન જીવવાની અપેક્ષા રાખે છે.

લિવર ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પાર પડતાં રમેન્દ્ર સોની અને તેમની પત્નીની આંખો આંસુથી ભરાઈ ગઈ હતી. તેઓ સતત ડૉક્ટરોનો આભાર માની રહ્યાં હતાં. રમેન્દ્ર સોનીએ અશ્રુભીની આંખો સાથે આ બાબતમાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને જાણે ફરીથી એક વાર સાક્ષાત્ ભગવાનનાં દર્શન ડૉક્ટરોના રૂપમાં થયાં હતાં. તેમણે કહ્યું છે કે અમારું બાળક હવે સામાન્ય બાળકની જેમ જીવન જીવી શકશે.’

આ સફળતા વિશે માહિતી આપતાં ગ્લોબલ હૉસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ પીડિયાટ્રિક હેપેટોલૉજિસ્ટ ડૉ. લૈત વર્માએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભારતમાં ટ્રાન્સપ્લાન્ટમાં છેલ્લા દાયકામાં ઝડપથી વધારો થયો છે અને ૧૩૫ કેન્દ્રો હવે વર્ષમાં ૧૫૦૦થી ૨૦૦૦ ટ્રાન્સપ્લાન્ટ કરે છે. એમાંથી દસ ટકા બાળરોગ છે. જીવન ટકાવી રાખવાનો દર ૯૦ ટકાને વટાવી ગયો છે. હવે મુંબઈ ભારતનું મહત્ત્વપૂર્ણ મલ્ટિ-ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ હબ બની ગયું છે.’

બાળકોના વયજૂથમાં ટ્રાન્સપ્લાન્ટ જટિલ પ્રક્રિયા છે એમ જણાવતાં ગ્લોબલ હૉસ્પિટલ, મુંબઈના ડિરેક્ટર અને લિવર, સ્વાદુપિંડ, આંતરડાં ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ અને એચપીબી સર્જ્યન ડૉ. ગૌરવા ચૌબલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જોકે એએલએફના સેટિંગમાં જટિલતાઓનો દર અનેકગણો વધી જાય છે. અમારી વ્યાપક ટીમની હાજરીને કારણે આવી કટોકટીઓનો સામનો કરવા માટે અમે સજ્જ છીએ જે બાળરોગ તેમ જ પુખ્ત વયની જટિલ શસ્ત્રક્રિયાઓનું ધ્યાન રાખી શકે છે.’

mumbai mumbai news ahmedabad rohit parikh