08 May, 2020 10:29 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
કોઇપણ અફવાઓનો ભોગ ન બનશો.
મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે જનતાને સંબોધન કરતા કહયું હતું કે, “કામદારોને અપીલ છે કે તમારે ધૈર્ય જાળવવું જોઈએ, આ સમયે તમારી ધીરજ બહુ જરૂરી છે. કોઇપણ અફવાઓનો ભોગ ન બનશો. સંભાજી નગરથી ટ્રેઇન ઉપડશે અને આ ટ્રેઇન પકડવા પગપાળા ભુસાવળ જતા મજૂરોએ જીવ ગુમાવ્યો, જે વાતની મને બહુ જ પીડા છે. મુંબઇમાં સૈન્ય ઉતારાશે એવી અફવા પણ બહુ ચાલી છે જે સાવ ખોટી છે.મુંબઇ પોલીસ સક્ષમ છે અને જરૂર પડી તો કેન્દ્ર સરકાર તરફથી એક વધુ દળ મંગાવાશે.મુંબઇ પોલીસ રાત દિવસ કામ કરી રહી છે તેમને પણ આરામની જરૂર છે પણ કોઇપણ નિર્ણય લેવાશે તો જનતાને જાણ કરાશે જ.” મુખ્યંત્રીએ કહ્યું કે, “હજી સુધી વાઇરસની સાંકળ તુટી નથી અને આપણે મળીને જ તે તોડી શકીશું.હવે વિદેશથી ભારતીયો, અન્ય રાજ્યોમાં ભણતા આપણા વિદ્યાર્થો અહીં આવશે અને તેમનો ટેસ્ટ પણ કરાશે પણ મુંબઇમાં ટેસ્ટને મામલે કશું ઓછું નહીં આવે.મહારાષ્ટ્રમાં 3400 દર્દીઓ સાજા થયા છે અને આપણે હજી આ લડત કરવાની છે. લૉકડાઉન લંબાવવું કે નહીં તે તમારા હાથમાં છે, તમે નિયમ તોડશો તો લંબાશે.”
પોલીસ,ડૉક્ટર્સ અને કોરોનાના લડવૈયાઓ પર હુમલા કરાનારાઓ સામે કડક પગલા લેવાશે તેવી ચેતવણી પણ તેમણે આપી. તથા આયુર્વેદિક, એલોપેથ અને હોમિયોપેથ ડૉક્ટર્સને મહાલક્ષ્મી રેસકોર્સ, BKC, દાદર, ગોરેગાંવ અને મુંબઇના ખુલ્લા મેદાનોમાં જે કોરોના ક્વોરેન્ટિન સેન્ટર બન્યા છે ત્યાં કામ કરવા માટે મહારાષ્ટ્ર સરકારમાં રજિસ્ટ્રેશન કરાવે અને દર્દીઓની સહાયતા કરે.”