Mumbai Fire: મઝગાંવના ઝૂંપડાઓમાં લાગી આગ, કોઈ જાનહાનિ નહીં

28 April, 2026 03:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Fire: મઝગાંવમાં હેનકોક બ્રિજ પાસે આજે સવારે લાગી આગ, સાતથી આઠ ઝૂંપડાઓને નુકસાન થયું હોવાના અહેવાલ, તાત્કાલિક આગ પર કાબુ મેળવી લેતા સદ્નસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં, અધિકારીઓએ આગ લાગવાની આ ઘટનાની તપાસ શરૂ કરી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મુંબઈ (Mumbai)માં આગ લાગવાની વધુ એક ઘટના બની છે. આજે, મઝગાંવ (Mazgaon) વિસ્તારમાં આગ લાગી હતી. જોકે, આગનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. આગની દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ ૭-૮ ઝૂંપડાઓને અસર થઈ હોવાના અહેવાલ છે.

તળ મુંબઈના મઝગાંવમાં હેનકોક બ્રિજ (Hancock Bridge) પાસે આવેલા એકતા નગર (Ekta Nagar)માં આજે મંગળવારે રોજ એટલે કે ૨૮ એપ્રિલના રોજ આગ (Mumbai Fire) ફાટી નીકળી હતી. ઘટનાના વાયરલ થયેલા વીડિયો (Viral Video)માં જોવા મળ્યું હતું કે આકાશમાં કાળા ધુમાડાના ગોટા ઉડી રહ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ આગ ગ્રાઉન્ડ ફ્લોર તેમજ કેટલાક બે માળના બાંધકામો સુધી મર્યાદિત હતી, જેમાં વિસ્તારના આશરે ૭ થી ૮ ઝૂંપડાઓ લપેટમાં આવ્યા હતા.

આગની જાણકારી મળતા જ બીએમસી (BMC)ના અધિકારીએઓ, ફાયર બ્રિગેડ (Fire Bridged), મુંબઈ પોલીસ (Mumbai Police), બેસ્ટ (BEST), ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.

પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટના સવારે ૧૧ વાગ્યે બની હતી અને બીએમસી ફાયર બ્રિગેડ દ્વારા તેને લેવલ-૧ (નાની આગ) જાહેર કરવામાં આવી હતી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ આગ આશરે સાત થી આઠ ઝૂંપડાઓ સુધી મર્યાદિત હતી, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર તેમજ અંશતઃ એક અને બે માળના બાંધકામોનો સમાવેશ થાય છે.

વધુમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેઓ પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે અને થયેલા નુકસાનનો અંદાજ મેળવવા માટે તપાસ ચાલી રહી છે.

સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી, જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

આ દુર્ઘટનાની વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

માનખુર્દમાં ભંગારના વાડામાં લાગી આગ

આગની અન્ય એક તાજેતરની ઘટનામાં, માનખુર્દ (Mankhurd)માં મંડલાના કુર્લા સ્ક્રેપ વિસ્તારમાં ઘાટકોપર-માનખુર્દ લિંક રોડ (Ghatkopar-Mankhurd Link Road) પર આવેલા એક ભંગારના વાડામાં આગ ફાટી નીકળી હતી. સદનસીબે, આ ઘટનામાં પણ કોઈને ઈજા થઈ હોવાના સમાચાર નથી.

થાણેમાં મકાનમાં લાગેલી આગમાં બિલાડીનું મોત

થાણે (Thane)ના શાસ્ત્રી નગર (Shastri Nagar) વિસ્તારમાં એક મકાનમાં આગ લાગવાને કારણે ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી અને એક પાલતુ બિલાડીનું મોત નીપજ્યું હતું. આ આગ સવારે ૧૦:૪૩ વાગ્યાની આસપાસ એક બે માળની ચાલના પ્રથમ માળે આવેલા રૂમમાં લાગી હતી. જે સમયે આગ લાગી ત્યારે રૂમમાં રહેલી એક મહિલા સુરક્ષિત રીતે બહાર નીકળી ગઈ હતી, પરંતુ તેની પાલતુ બિલાડીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

ગોવંડીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટને કારણે વાહનો બળીણે ખાખ

ગોવંડી (Govandi) વિસ્તારમાં ઘાટકોપર-માનખુર્ડ લિંક રોડ પાસે આવેલા એક પાર્કિંગમાં આગ લાગવાની ઘટના બની હતી, જેમાં આશરે આઠથી દસ વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. આ વાહનો ઘણા સમયથી ત્યાં પડેલા હતા અને તેમાંથી નીકળતા કાળા ધુમાડાના ગોટા દૂર સુધી જોઈ શકાતા હતા. પ્રાથમિક તપાસ મુજબ, આ આગ એક ગેસ સિલિન્ડર બ્લાસ્ટને કારણે લાગી હોવાનું માનવામાં આવે છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને મોટું નુકસાન થયું છે.

fire incident mazgaon mumbai fire brigade brihanmumbai municipal corporation brihanmumbai electricity supply and transport mumbai mumbai news viral videos