22 September, 2023 02:51 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ ઘટના જ્યાં બની એ સ્થળ
મુંબઈમાંથી અવારનવાર ક્રાઇમ (Mumbai Crime News)ની ઘટનાઓ સામે આવતી હોય છે. હવે મુલુંડમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર મુલુંડમાં એક મહિલાએ તેની 39 દિવસની બાળકીને બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દીધી હતી.
સમાચાર મળતાની સાથે જ પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી. જ્યારે પોલીસે આ મામલે તપાસ કરી તો ખૂબ જ ચોંકાવનારી માહિતી સામે આવી હતી. જોકે, પોતાની જ માતા દ્વારા બાળકી બિલ્ડિંગમાંથી નીચે ફેંકાયા બાદ તે એક દુકાન પર પછડાઈ હતી. સવારમાં આ બધું પ્રકાશમાં આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ વિસ્તારમાં લોકોમાં નારાજગી ફેલાઈ ગઈ હતી.
એવી માહિતી મળી છે કે પિતાના મૃત્યુના કારણે આ યુવતી તણાવમાં રહેતી હતી. આ જ તણાવને કારણે આ સ્ત્રીએ પોતાની નાનકડી પુત્રીની હત્યા કરી નાખી હતી. આ ઘટના (Mumbai Crime News) બાદ તેના પરિવારમાં સૌને આઘાતમાં લાગ્યો છે. જોકે, મુંબઈ પોલીસે હજુ સુધી મહિલાની ધરપકડ કરી નથી.
આ ઘટના મુલુંડના નીલકંઠ એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં બની હતી. મનાલી મહેતા નામની મહિલા સુરતથી મુલુંડમાં (Mumbai Crime News) તેના ઘરે આવી હતી. તેના પિતાનું થોડા દિવસ પહેલા અવસાન થયું હતું. જેના કારણે તે ખૂબ જ તણાવમાં રહેતી હતી.
એવું કહેવાય છે કે મનાલીની 39 દિવસની પુત્રી હાશવી મનાલીના પિતાનો જ જીવ હતી. તેના પિતા હાશવીને ખૂબ જ પ્રેમ કરતાં હતા. પરંતુ તેના પિતાનું મૃત્યુ થવાને કારણે હવે મનાલી જ્યારે પણ હાશવીને જોતી ત્યારે તેને વારંવાર તેના પિતાની યાદ આવતી હતી. પિતાના અવસાનથી મનાલી ખૂબ જ તણાવમાં હતી.
મનાલી પરિવારને એમ કહેતી હતી કે તેના નાના હાશવીને બોલાવતા હતા. પરંતુ બુધવારે રાત્રે તેણે સૌને એમ કહ્યું કે તેઓ હાશવીને સતત બોલાવી રહ્યા છે. પરંતુ તેના પરિવારજનોએ તેની વાત પર ધ્યાન આપ્યું ન હતું અને બધા સૂઈ ગયા હતા.
ત્યારબાદ ગુરુવારે સવારે લગભગ 4 વાગ્યે મનાલીએ 14મા માળે સ્થિત તેના બેડરૂમની બારી ખોલી હતી અને તેની માત્ર 39 દિવસની પુત્રી હાશવીને ત્યાંથી નીચે ફેંકી દીધી (Mumbai Crime News) હતી. ફેંકાયા બાદ બાળકી બિલ્ડીંગની નીચે આવેલી દુકાનના છપરા પર પડી હતી.
સવારે બિલ્ડિંગમાં રહેતા એક વ્યક્તિએ દુકાનના છાપરા પર એક નાની બાળકીનો મૃતદેહ પડેલો જોયો. તેણે તરત જ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બાળકીના મૃતદેહને કબજે કરી તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે મનાલી તેના પિતાના મૃત્યુને કારણે ખૂબ જ માનસિક તણાવમાં રહેતી હતી અને તેની સારવાર પણ ચાલી રહી હતી.