20 September, 2021 02:28 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
કોવિડ મહામારીને ધ્યાનમાં રાખતા લાગૂ પાડવામાં આવેલા પ્રતિબંધો વચ્ચે રવિવારે મહારાષ્ટ્રમાં મોટી સંખ્યામાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું, આ દરમિયાન મુંબઇના વર્સોવા બીચ પર ગણેશ વિસર્જન દરમિયાન 5 લોકો સમુદ્રમાં ડૂબી ગયા. આમાંથી બે જણને બચાવી લેવામાં આવ્યા હતા. પણ ત્રણની શોધ હજી પણ ચાલુ છે. તેમની ઉંમર 18થી 22 વર્ષની વચ્ચેની કહેવામાં આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે આ બધા વર્સોવા બીચની નજીકના ગામડાના છે. તો પુણેના પીંપરી ચિંચવાડમાં પણ એક વ્યક્તિનું નિધન થયું છે.
પુણે શહેર નજીક પિંપરી ચિંચવાડના અલંદી રોડ વિસ્તારમાં રવિવારે સાંજે ગણેશ વિસર્જન દરમિયાન એક 18 વર્ષીય વ્યક્તિનું નિધન થયું છે અને એક અન્ય વ્યક્તિના ડૂબવાની આશંકા જાહેર કરવામાં આવી છે. મૃતકના દેહની ઓળખ પ્રજ્વલ કાલે તરીકે થઈ છે. જ્યારે દત્તા થોમ્બ્રે(20)ની શોધ ચાલુ છે. જે કાલે સાથે નદીમાં ઉતર્યો હતો.
પોલીસે માહિતી આપી છે કે તે ગ્રુપનો ભાગ હતો જે સાંજે લગભગ 6 વાગ્યે ગણેશ પ્રતિમાને વિસર્જિત કરવા ઇંદ્રાયણી નદીમાં ગયો હતો. પોલીસે જણાવ્યું કે કાલે અને થોમ્બ્રે અન્ય લોકો સાથે મૂર્તિને વિસર્જિત કરવા માટે પાણીમાં ઉતર્યા હતા. પણ કારણકે બન્નેને તરતા આવડતું નહોતું, આથી તે પાણીનું ઊંડાણ સમજી શક્યા નહીં અને ડૂબી ગયા.
મુંબઇમાં ગણેશ ઉત્સવના અંતિમ દિવસે રવિવારે રાતે 9 વાગ્યે જુદા-જુદા સ્થળે ગણપતિ અને માતા ગૌરીની 19,799 પ્રતિમાઓનું વિસર્જન થયું. સ્થાનિક નિકાયના એક અધિકારીએ જણાવ્યું કે કોવિડ-19ને કારણે આ વખતે સતત બીજા વર્ષે ખૂબ જ કડક પ્રતિબંધો સાથે ગણેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો.
ભગવાન ગણેશનો આ તહેવાર 10 સપ્ટેમ્બરના શરૂ થયો. સામાન્ય રીતે આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે અને મંડળની બહાર મોટી લાઇન પણ જોવા મળે છે. પણ આ વખતે સતત બીજા વર્ષે પણ કોવિડ-19 મહામારીને કારણે અમુક પ્રતિબંધો વચ્ચે આ ઉજવવામાં આવ્યું.
આ વર્ષે બૃહન્મુંબઇ મહાનગર પાલિકા (BMC)એ શહેરમાં 173 સ્થળે કૃત્રિમ તળાવ બનાવ્યા હતા. સાથે જ મહામારીને ધ્યાનમાં રાખતા ભીડથી બચવા માટે જુદા જુદા સ્થળે મૂર્તિ સંગ્રહ કેન્દ્ર અને મોબાઇલ વિસર્જન સ્થળ પણ બનાવવામાં આવ્યા હતા.