17 May, 2021 04:52 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઇગરાંઓ આવા દ્રશ્યોના સાક્ષી બન્યા. તસવીર - પ્રદીપ ધીવર
સાયક્લોન તા-ઉતેને કારણે અનેક રાજ્યોમાં વિનાશ થયો છે. મહારાષ્ટ્રમાં વાવાઝોડાના કારણે ભારે નુકસાન થયું છે. દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વાવાઝોડા તા-ઉતે વિશે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી છે. અરબી સમુદ્રમાં આવેલા તીવ્ર ચક્રવાતી તોફાન `તા- ઉતે`ને કારણે, મુંબઈના કાંઠે બે બાર્જ જે લંગર સાથે બંધાયેલા નહોતા તે દરિયામાં ધકેલાઇ ગયા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે અરબી સમુદ્ર ઉપર આવેલા સાયક્લોન તાઉતેની તીવ્રતા વધી હતી અને સોમવારે સાંજે ગુજરાતના દરિયાકાંઠે પહોંચવાની સંભાવના છે. આ દરમિયાન મુંબઈમાં દરિયાકાંઠે આવેલા 410 વ્યકિતઓ સાથેના બે બાર્જ મુંબઈ કાંઠે વહી ગયા હતા.
નૌકાદળના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, બાર્જ P305 માટે મદદની વિનંતી કરાઇ હતી જે હીરા ઑઇલ ફિલ્ડ્ઝ બોમ્બે હાઇ વિસ્તારમાં દરિયામાં ધસી ગયો હતો. આ વિનંતી મળતાં, વૉરશીપ આઇએનએસ કોચીને સર્ચ એન્ડ રેસ્ક્યુ (એસએઆર) હેલ્પ માટે રવાના કરવામાં આવી હતી.
ઓઇલ ફિલ્ડ્ઝ મુંબઇથી 70 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં છે. પ્રવક્તાએ જણાવ્યું કે, "હ્યુમેનિટેરિયન આસિસ્ટન્સ અને ડિઝાસ્ટર રિલીફ માટે તૈયાર બીજી નાવ પણ તૈયાર રખાઇ છે. તાઉતેને કારમે ભારતના પશ્ચિમી કાંઠે અરાજકતા ફેલાઇ ગઇ છે." બીજા બાર્જમાં `ગલ કન્સ્ટ્રક્ટર`માં 137 લોકો ઓનબોર્ડ હતા જે મુંબઇથી 8 નૉટિકલ માઇલ્સ દૂર પહોંચી ગયો હતો અને વૉરશિપ આઇએનએસ કોલકાતાને તેમની મદદ માટે મોકલવામાં આવી છે.
મહારાષ્ટ્રના દરિયાકાંઠેથી પસાર થતું તોફાન સોમવારે સવારે મુંબઇ પહોંચ્યું હતું અને તેના કારણે શહેરના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ફ્લાઇટ સેવા સવારે 11 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી બંધ કરવાની જાહેરાત કરાઇ હતી. આ તોફાનને પગલે રાય ગઢમાં રેડ અલર્ટ અને મુંબઇમાં ઓેરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. મુંબઈમાં મોનો રેલ સેવા આખા દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. ઘાટકોપરથી વિક્રોલીની વચ્ચે સેન્ટ્રલ રેલ્વે લોકલ ટ્રેન સેવા પણ તોફાનને કારણે અસરગ્રસ્ત હતી.
ઉત્તર દિશામાં ગુજરાત તરફ વધી રહેલા તાઉતેને કારણે મહારાષ્ટ્ર અને ગોવામાં દરમિયાન જોરદાર વાવાઝોડા, મુશળધાર વરસાદ અને સમુદ્રમાં ઊંચા મોજા જોવા મળ્યા હતા. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચક્રવાત સોમવારે સાંજે ગુજરાતના દરિયાકાંઠે પહોંચશે અને તે ભયાનક બનશે. હવામાન વિભાગના ચક્રવાત ચેતવણી કેન્દ્રએ જણાવ્યું હતું કે, `પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં તીવ્ર સાયક્લોન તાઉતે `છેલ્લા છ કલાકમાં 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે અને તે ઘણું ભયંકર બની રહ્યું છે.
વળી એક અધિકૃત સ્ટેટમેન્ટ અનુસાર 12,420 લોકો જે રત્નાગીરી, સિંધુદુર્ગ અને રાયગઢ જિલ્લાના દરિયાકાંઠા વાળા વિસ્તારોમાં રહે છે તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તેમાં રાયગઢના 8380 લોકો હતા, રત્નાગીરીમાં 3896 લોકો હતા અને સિંધુદુર્ગમાં 144 લોકો હતા.
ઉદ્ઘવ ઠાકરેએ પરિસ્થિનો અહેવાલ મેળવ્યો હતો અને થાણે, મુંબઇ તથા આસપાસના વિસ્તારોની સ્થિતિ ચકાસી હતી તથા તે વાતની ચોકસાઇ કરી હતી કે કોવિડ-19ના દર્દી સાયક્લોનને કારણ હેરાન ન થાય.