10 August, 2025 07:23 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)
મહારાષ્ટ્રના થાણે જિલ્લાના કલ્યાણમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના કાર્યકરોએ એક ફૂડ સ્ટોલ માલિક પર હુમલો કર્યો. તેના પર મરાઠી લોકો અને રાજ ઠાકરે વિરુદ્ધ ખોટી વાતો કહેવાનો આરોપ છે. આ ઘટના શુક્રવારે દુર્ગામાતા મંદિર ચોક વિસ્તારમાં બની હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં સુરક્ષા વધારી દીધી છે.
વીડિયોમાં શું છે?
વાયરલ વીડિયોમાં મનસે કલ્યાણ (પૂર્વ) ના કાર્યકર્તા કુશ રાજપૂત અને તેમના સાથીઓ દક્ષિણ ભારતીય ફૂડ વેચતા એક ફૂડ સ્ટોલ માલિકને માર મારતા દેખાય છે. કાર્યકર તેને માફી માગવા માટે દબાણ કરી રહ્યો છે અને ભવિષ્યમાં આવી વાતો નહીં બોલવાનું વચન પણ આપી રહ્યા છે. પોલીસ અધિકારીએ કહ્યું કે અમે કલ્યાણ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોયો છે. હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
મીરા રોડ જેવી ઘટના
આ ઘટના થાણે જિલ્લાના મીરા ભાયંદર વિસ્તારમાં MNS કાર્યકરો દ્વારા ઉત્તર ભારતીય મીઠાઈની દુકાનના માલિકને મરાઠી બોલી ન શકતા હોવાથી માર મારવાની ઘટનાની પૃષ્ઠભૂમિમાં બની છે. મીરા ભાયંદર ઘટનામાં પોલીસે કેસ નોંધ્યો છે.
કોઈ ફરિયાદ મળી નથી
અધિકારીએ કહ્યું કે અમે કલ્યાણ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોયો છે. હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. અમે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાનું નિરીક્ષણ વધારી દીધું છે.
આવા જ એક કિસ્સામાં, કલ્યાણમાં એક કોચિંગ ક્લાસના માલિકને માર માર્યા બાદ ફરી એક વખત અહીંના એક ગેમિંગ ઝોનના કર્મચારીને માર માર્યો હતો. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના કાર્યકરોએ મુંબઈ નજીકના ઉપનગર કલ્યાણમાં એક ગેમિંગના કર્મચારીઓ પર હુમલો કરવાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જે બાદ લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. સ્થાનિક નેતા ઉલ્હાસ ભોઇરની આગેવાની હેઠળ MNS ના કાર્યકરોએ એક ગેમિંગ આર્કેડમાં ઘૂસીને સ્ટાફ સાથે ઝઘડો કર્યો હતો કારણ કે તેમણે શાળાના સમય દરમિયાન ગણવેશમાં રહેલા બાળકોને આવવા દીધા હતા.
તાજેતરમાં, નવી મુંબઈના પનવેલમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તાઓએ એક ડાન્સ-બારમાં તોડફોડ કરી હોવાનું સામે આવ્યું હતું. હાલમાં જ મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ એક બયાન આપ્યું હતું અને જેમાં રાયગઢમાં ડાન્સ-બારની વધતી સંખ્યાને લઈને પોતાનો રોષ ઠાલવ્યો હતો. રાજ ઠાકરેએ કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજની રાજધાનીમાં આટલા બધા ડાન્સ-બાર હોવા એ બિલકુલ શોભનીય નથી. બસ, પછી તો શનિવારની મોડી રાત્રે કાર્યકર્તાઓએ લાકડીઓ ફટકારીને પનવેલમાં આવેલા નાઈટ રાઈડર નામના ડાન્સ-બારમાં તોડફોડ કરી હતી. મનસેએ આરોપ લગાવ્યો છે કે પનવેલ વિસ્તારમાં ઘણા ગેરકાયદે ડાન્સ-બાર ચાલી રહ્યા છે. આવા ડાન્સ-બાર એ સામાજિક દુષણ છે.