30 June, 2022 11:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી
રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ મહાવિકાસ આઘાડી સરકારને આજે બોલાવવામાં આવેલા વિશેષ વિધાનસભા સત્રમાં બહુમતી પુરવાર કરવાનો આદેશ આપ્યા બાદ શિવસેનાના સુનીલ પ્રભુએ રાજ્યપાલના આદેશને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે અરજી દાખલ કરીને પક્ષકારને બપોરના ત્રણ વાગ્યા સુધીમાં ડૉક્યુમેન્ટ્સ રજૂ કરવાનું અને પાંચ વાગ્યે સુનાવણી હાથ ધરવાનું કહ્યું હતું. અરજી કરનારા સુનીલ પ્રભુ વતી વરિષ્ઠ ઍડ્વોકેટ અભિષક મનુ સિંઘવી, એકનાથ શિંદે જૂથ વતી નીરજ કિશન કૌલ અને રાજ્યપાલ વતી સૉલિસિટર જનરલ તુષાર મહેતા સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની વેકેશન ખંડપીઠ સમક્ષ હાજર થયા હતા. ત્રણ કલાક દસ મિનિટ તમામ પક્ષોને સાંભળ્યા બાદ બંને જસ્ટિસોએ ફેંસલો સંભળાવ્યો હતો કે રાજ્યપાલે વિશેષ સત્ર બોલાવીને સરકારને બહુમત સિદ્ધ કરવા માટેના આપેલા આદેશને અમે રોકી ન શકીએ.