શિવસેનાના વધુ વિધાનસભ્યો ગુવાહાટીમાં શિંદે ગ્રુપ સાથે જોડાયા

24 June, 2022 09:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બે દિવસ સુધી ઉદ્ધવ ઠાકરે સાથે રહેનાર રાજ્યના કૃષિપ્રધાન દાદાસાહેબ ભુસે, સંજય રાઠોડ અને રવીન્દ્ર ફાટક પણ એકનાથ શિંદે સાથે જોડાઈ ગયા છે

ફાઇલ તસવીર

હાલ આસામના ગુવાહાટીની હોટેલમાં શિવસેનાના વિધાનસભ્યોને રાખીને બંડ પોકારનાર એકનાથ શિંદેના ગ્રુપમાં જોડાવા ગઈ કાલે કેટલાક વધુ વિધાનસભ્યો ત્યાં પહોંચી ગયા હતા. એમાં કુર્લાના વિધાનસભ્ય મંગેશ કુડાળકર અને માહિમના સદા સરવણકરનો સમાવેશ થાય છે. એ પહેલાં ગુલાબરાવ પાટીલ, ચંદ્રકાન્ત પાટીલ, યોગેશ કદમ અને મંજુલા ગાવિત પણ એકનાથ શિંદેના ગ્રુપમાં જોડાઈ ગયાં હતાં. તેમને આવકારવા એકનાથ ​શિંદે હોટેલની લૉબીમાં પહોંચી ગયા હતા.

બે દિવસ સુધી ઉદ્ધવ ઠાકરે સાથે રહેનાર રાજ્યના કૃષિપ્રધાન દાદાસાહેબ ભુસે, સંજય રાઠોડ અને રવીન્દ્ર ફાટક પણ એકનાથ શિંદે સાથે જોડાઈ ગયા છે. બે દિવસ પહેલાં ઉદ્ધવ ઠાકરેએ બળવાખોર વિધાનસભ્યોને મનાવવા તેમના બે વિશ્વાસુ મિલિંદ નાર્વેકર અને રવીન્દ્ર ફાટકને સુરત મોકલ્યા હતા. એમાંના રવીન્દ્ર ફાટક બે દિવસ બાદ હવે બળવાખોરો સાથે જોડાઈ ગયા છે. 

mumbai mumbai news maharashtra indian politics shiv sena uddhav thackeray