લતા મંગેશકરનું વેન્ટિલેટર ટ્રાયલરૂપે દૂર કરવામાં આવ્યું

28 January, 2022 09:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડૉક્ટર પ્રતીત સમદાની લતા મંગેશકરની સારવાર કરી રહ્યા હોવાની તેમના પરિવારે ટ્વિટર પર જાણકારી આપી હતી.

લતા મંગેશકર

સ્વરકિન્નરી લતા મંગેશકરનું સ્વાસ્થ્ય સુધરી રહ્યું છે અને પ્રાયોગિક ધોરણે તેમનું વેન્ટિલેટર હટાવવામાં આવ્યું હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું. ૯૨ વર્ષનાં ગાયિકા કોરોનાની ઝપટમાં આવ્યા બાદ જાન્યુઆરીના પ્રારંભથી મુંબઈની બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં આઇસીયુમાં દાખલ છે. ડૉક્ટર પ્રતીત સમદાની લતા મંગેશકરની સારવાર કરી રહ્યા હોવાની તેમના પરિવારે ટ્વિટર પર જાણકારી આપી હતી.
લતા મંગેશકરના ટ્વિટર હૅન્ડલ પરથી કરવામાં આવેલી ટ્વીટ આ પ્રમાણે છે : લતાદીદી બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં આઇસીયુમાં સારવાર લઈ રહ્યાં છે. આજે સવારે ટ્રાયલરૂપે તેમનું વેન્ટિલેટર હટાવી લેવામાં આવ્યું છે. હાલમાં તેમની તબિયત સુધારા પર છે, પણ તેમને ડૉક્ટર પ્રતીત સમદાનીની આગેવાની હેઠળ ડૉક્ટરોની ટીમના ઑબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે. લતાદીદી માટે પ્રાર્થના કરનારા અને તેમના સારા સ્વાસ્થ્યની શુભકામના કરનારા સૌનો અમે આભાર માનીએ છીએ.’
ચાલુ સપ્તાહના પ્રારંભમાં જ તેમના પરિવારજનોએ ટ્વીટ કરી હતી કે ‘લતાદીદીના આરોગ્યમાં નજીવો સુધારો થયો છે અને તેઓ આઇસીયુમાં જ છે. મહેરબાની કરીને દીદીના આરોગ્યને લગતી અફવા ફેલાવશો નહીં કે આવા મેસેજને સાચા માની લેશો નહીં.’

Mumbai mumbai news lata mangeshkar bollywood news bollywood bollywood gossips entertainment news