સમેતશિખરની રક્ષા ખાતર ૨૫ જાન્યુઆરીએ ભારત બંધ નથી

21 January, 2022 08:34 AM IST  |  Mumbai | Rohit Parikh

મકરસંક્રાન્તિ નિમિત્તે યોજાયેલા મેળામાં આ ડુંગર પર બિરાજમાન સ્થાનિકોના ઇષ્ટદેવની પૂજા કરવા જમા થયેલા લોકોએ તીર્થ પર દારૂનું સેવન કરતાં અને બીભત્સ ગીતો પર નાચગાન કરીને એની ગરિમાને ઠેસ પહોંચાડતાં જૈન સમાજમાં ફેલાયું નારાજગી અને આક્રોશનું વાતાવરણ

ગચ્છાધિપતિ આચાર્ય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજસાહેબના નેજા અને માર્ગદર્શન મુલુંડથી કાર્યરત સેવ શિખરજી ટીમ તરફથી સમેતશિખરજી તીર્થને ‘પ્લૅસ ઑફ વર્શિપ ઑફ જૈન’ તરીકે જાહેર કરવાની માગણી કરતો પત્ર, જમણેભારત બંધની જાહેરાત એક અફવા છે એવી જાહેરાત કરતો શ્રી દિગમ્બર જૈન ગ્લોબલ મહાસભા - મુંબઈનો પરિપત્ર.

ઝારખંડ રાજ્યમાં આવેલા જૈનોના સૌથી મોટા તીર્થ સમેતશિખર પર અવાંછિત લોકો દ્વારા પહાડની ગરિમા અને વંદનાને ક્ષતિ પહોંચતી રોકવા માટે જૈન સમાજ દ્વારા ૨૫ જાન્યુઆરીએ ભારત બંધની જાહેરાત કરવામાં આવી નથી અને આ એક સોશ્યલ મીડિયા પર ફેલાયેલી અફવા છે એવો સ્પષ્ટ નિર્દેશ શ્રી દિગમ્બર જૈન ગ્લોબલ મહાસભા - મુંબઈ દ્વારા આપવામાં આવ્યો છે. એમાં કોઈ શંકા નથી કે આ તીર્થ પર ૧૫ જાન્યુઆરીએ મકરસંક્રાન્તિ નિમિત્તે યોજાયેલા મેળામાં ઝારખંડ સરકાર દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવા છતાં આ તીર્થના ડુંગર પર બિરાજમાન તેમના ઇષ્ટદેવની પૂજા કરવા લાખો લોકો એકઠા થયા હતા. આ લોકોમાંથી અમુક લોકોએ અને યુવાનોએ તીર્થની ગરિમા જાળવ્યા વગર આ તીર્થને પિકનિક સ્પૉટ બનાવીને ત્યાં ડુંગર પર દારૂનું સેવન અને બીભત્સ ગીતો પર નાચગાન કરીને જૈન સમાજને ગંભીર ચોટ પહોંચાડી હતી એટલે જૈન સમાજમાં નારાજગી અને આક્રોશનું વાતાવરણ ફેલાયું છે. 
જૈનોના આ આક્રોશ પછી સોશ્યલ મીડિયા પર એક મેસેજ વાઇરલ થયો હતો કે ઝારખંડ સરકાર આ ઘટના પર ઉચિત પગલાં લે એના માટે ભારતના બધા જૈન સમાજો તરફથી રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને મેમોરેન્ડમ આપવામાં આવશે તેમ જ ૨૫ જાન્યુઆરીએ ભારત બંધ કરીને જૈનો આ મુદ્દે તેમનો સાથ-સહકાર આપે. જોકે આ જાહેરાત જૈન સમાજ તરફથી કરવામાં આવી નથી એવો ખુલાસો કરવામાં આવ્યો હતો.
દિગમ્બર અને શ્વેતામ્બર જૈન સમાજ તરફથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહ અને અન્ય રાજકીય પક્ષોના આગેવાનોને પત્ર લખીને સમેતશિખરજી તીર્થની પવિત્રતા અને અસ્મિતા જાળવવા માટે વિનંતી કરવામાં આવી હતી. પત્રમાં કહેવામાં આવ્યું હતું કે ‘સમેતશિખરજી પૌરાણિક કાળથી જૈન ધર્મના અનુયાયીનું સૌથી મોટું તીર્થ ક્ષેત્ર છે. એ જૈન ધર્મના કુલ ૨૪ તીર્થંકરોમાંથી ૨૦ તીર્થંકરોની નિર્વાણભૂમિ હોવાથી જૈન સમાજ માટે આ પહાડનો એક-એક કણ, દરેક મંદિર અને મંદિરના પરિસરો પૂજનીય અને વંદનીય છે. આ તીર્થ પર ૩૬૫ દિવસ જૈન યાત્રિકો બેહદ શ્રદ્ધાભાવ સાથે વ્રત ધારણ કરીને ખુલ્લા પગે શુદ્ધ વસ્ત્રો પહેરીને ગમે એવી તીવ્ર ઠંડી હોય કે ગરમી ઝારખંડની સૌથી ઊંચી પહાડીના ૨૭ કિલોમીટર એકદમ ચડવામાં કઠિન હોવા છતાં દર્શન-પૂજા કરવા જાય છે. પારસનાથ પર્વતની પવિત્રતા અકબંધ રાખવાની તમામ જૈન યાત્રિકો સર્વોચ્ચ ફરજ માને છે.’ 
૧૦૦ વર્ષ જૂની સંસ્થા ભારતવર્ષ દિગમ્બર જૈન તીર્થ ક્ષેત્ર સમિતિના રાષ્ટ્રીય સેક્રેટરી ચાર્ટર્ડ અકાઉટન્ટ ખુશાલ જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શિખરજી ગિરનારજી અને તમામ તીર્થધાર્મોની સંરક્ષણ સુરક્ષા વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપવા માટે અમે કાર્યરત છીએ. દર વર્ષે ૧૫ જાન્યુઆરીના દિવસે શિખરજી તીર્થની અસ્મિતા ગંદી બની જાય છે. અમે રાજ્ય સરકારને એ અશ્લીલ ડાન્સ વગેરેનો વિરોધ કરતો પત્ર લખ્યો છે અને અમારું એક પ્રતિનિધિમંડળ થોડા દિવસમાં સરકાર સાથે મીટિંગ કરશે.’
અમે સમેતશિખર બચાવોની ચળવળ ગચ્છાધિપતિ આચાર્ય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજસાહેબના નેજા અને માર્ગદર્શન હેઠળ ૨૦૧૮માં શરૂ કરી હતી એમ જણાવીને મુલુંડથી કાર્યરત સેવ શિખરજી ટીમના સૉલિસિટર અશોક દેઢિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એ સમયે ૧૫ જાન્યુઆરી જેવો જ એક મુદ્દો ઉપસ્થિત થયો હતો અને અમે સમેતશિખરજી તીર્થની રક્ષા ખાતર આ તીર્થ અને એની આસપાસના વિસ્તારને ‘પ્લૅસ ઑફ વર્શિપ ઑફ જૈન’ તરીકે જાહેર કરવાની માગણી કરી હતી. અમારી માગણી હતી કે જેમ તિરુપતિ અને તિરુમલાઈને સરકારે પ્લેસ ઑફ વર્શિપ તરીકે જાહેર કર્યાં છે એમ અમારું આ તીર્થ પણ પ્લેસ ઑફ વર્શિપ જ છે. એવી જ રીતે આ તીર્થને પણ પ્લેસ ઑફ વર્શિપ તરીકે જાહેર કરવાથી ૧૫ જાન્યુઆરી જેવી સમસ્યાઓનો અંત આવી જશે.’
પંડિત મહારાજ તરીકે પ્રખ્યાત ગચ્છાધિપતિ ધર્મતીર્થસંરક્ષક જૈનાચાર્ય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજસાહેબે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને ૧૫ જાન્યુઆરીની ઘટના સોશ્યલ મીડિયામાંથી જાણવા મળી છે. એના અમે પ્રત્યક્ષ સાક્ષી નથી. અમારી વર્ષોથી માગણી છે કે આ તીર્થ આખાને ‘પ્લેસ ઑફ વર્શિપ ઑફ જૈન’ તરીકે જાહેર કરવી જોઈએ. 
અમારી એક જ માગણીમાં માંસાહાર, આલ્કોહોલ બધાનો જ વિરોધ આવી જાય છે. આ પહેલાં સરકારે મેમોરેન્ડમમાં આપી જ દીધું છે. હવે એને નોટિફિકેશનમાં પરિવર્તન કરવાનું અને એના પર મહોર મારવાની જ બાકી છે. જૈન સમાજની લાગણી સમજીને સરકારે આ બાબતમાં ત્વરિત જાહેરાત કરવી જોઈએ.’
ગચ્છાધિપતિ આચાર્ય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજસાહેબની નિશ્રામાં તીર્થરક્ષા સંબંધી આગળની કાર્યવાહી કરવા માટે બુધવાર, ૨૬ જાન્યુઆરીએ બોરીવલી (વેસ્ટ)ના ગીતાર્થ ગંગા, લોટસ કોર્ટ બિલ્ડિંગની સામે, સાંઈબાબાનગરમાં શ્રી શત્રુંજય મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં સકળ સંઘોને અલગ-અલગ સ્લૉટમાં ૫૦-૫૦ જણની સંખ્યામાં હાજરી આપવામાં આવશે. 

નરેન્દ્ર મોદીને પત્રમાં શું લખ્યું છે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં જૈન સમાજોએ વિનંતી કરી છે કે ‘છેલ્લા કેટલાક મહિનાથી આ અખંડ તીર્થસ્થળની પવિત્રતા અને સ્વચ્છતાને પિકનિકના નામે બગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ પવિત્ર પર્વત પર પિકનિક, ટ્રેકિંગ અથવા માત્ર મનોરંજન માટે આવતા પ્રવાસીઓ માંસાહારનું અને આલ્કોહોલનું સેવન કરતા જોવા મળે છે જે અહિંસામાં માનનારા અને શાંતિપ્રેમી જૈન સમુદાય માટે ખૂબ જ પીડાદાયક છે તેમ જ આ સમગ્ર પ્રદેશમાં ક્યારેય નાની ચિનગારી ફેલાઈ શકે છે. આ સાથે જ એ આખા દેશમાં મોટા વિવાદ અને વિરોધનું કારણ બની શકે છે. આથી જૈન ધર્મના આ શાશ્વત તીર્થ ક્ષેત્રની ચોક્કસ પરિઘ, મધુબન સહિત, સમગ્ર પારસનાથ ટેકરી પર માંસાહારી અને દારૂના વેચાણની સાથે સેવન માટે કડક પ્રતિબંધ અને સજા જાહેર કરવાં જોઈએ.’

Mumbai mumbai news narendra modi rohit parikh