વેપારીઓને મળ્યા રાહતના સમાચાર

22 August, 2025 07:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જુલાઈ ૨૦૨૫નું GST રિટર્ન ૨૭ ઑગસ્ટ સુધી કોઈ પણ પ્રકારના વ્યાજ અને દંડ વગર ભરી શકશે તેઓ

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

મહારાષ્ટ્રના મુંબઈ, થાણે, રાયગડ અને પાલઘર જિલ્લાઓના વેપારીઓ માટે સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટૅક્સિસ ઍન્ડ કસ્ટમ્સ (CBIC)એ જુલાઈ ૨૦૨૫ માટે ફૉર્મ GSTR-3B ફાઇલ કરવાની અંતિમ તારીખ ૨૭ ઑગસ્ટ સુધી લંબાવી છે. ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) કાઉન્સિલની ભલામણો પર CGST કાયદા ૨૦૧૭ની કલમ 39(6) દ્વારા આપવામાં આવેલી સત્તાઓ હેઠળ આ વિસ્તરણ મંજૂર કરવામાં આવ્યું છે. વેપારીઓએ આ રિટર્ન ૨૦ ઑગસ્ટ સુધીમાં ભરવાનું હતું.

આ રાહત મુજબ અસરગ્રસ્ત જિલ્લાઓના કરદાતાઓ જો નવી નિયત તારીખ સુધીમાં તેમનું જુલાઈ ૨૦૨૫ GSTR-3B ફાઇલ કરશે તો લેટ-ફી કે દંડ માટે જવાબદાર રહેશે નહીં. આ પગલું મુંબઈ મેટ્રોપૉલિટન રીજન અને નજીકના જિલ્લાઓમાં સતત વરસાદ અને ઠેર-ઠેર પૂરની પરિસ્થિતિ સર્જાવાથી લેવામાં આવ્યું છે જેને કારણે વ્યાવસાયિક કામગીરી, પરિવહન અને કનેક્ટિવિટીમાં વિક્ષેપ પડ્યો હતો. કાઉન્સિલે ભૂતકાળમાં કુદરતી આફતો અને પ્રતિકૂળ પરિસ્થિતિઓ દરમ્યાન આવી છૂટછાટો આપી હતી.

આ બાબતની માહિતી આપતાં ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્રના અધ્યક્ષ જિતેન્દ્ર શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘GST કાઉન્સિલનો આ નિર્ણય કરદાતાઓ અને વ્યાપારજગતને બહુ રાહત આપનારો છે જે લોકો છેલ્લા થોડા દિવસથી સતત વરસાદથી પ્રભાવિત થયા છે. આ ત્વરિત અને સંવેદનશીલ નિર્ણય લેવા માટે અમે GST કાઉન્સિલના આભારી છીએ. આ પ્રકારનો નિર્ણય વેપારી સમુદાયમાં વિશ્વાસ વધારવાનું કામ કરે છે.’

maharashtra goods and services tax thane palghar raigad maharashtra news mumbai floods news mumbai mumbai news business news