ભક્તોએ સિદ્ધિવિનાયકને ચડાવેલાં સોના-ચાંદી અને ભેટ-સોગાદોની આજે અક્ષયતૃતીયાએ હરાજી

19 April, 2026 08:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભક્તો માટે બાપ્પાને અર્પણ થયેલું સોનું ખરીદવાની આ એક દુર્લભ અને ધાર્મિક મહત્ત્વ ધરાવતી તક છે.

સિદ્ધિવિનાયક મંદિર

અક્ષયતૃતીયાના પાવન પર્વે શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટ ભક્તોએ ભગવાન ગણેશનાં ચરણોમાં અર્પણ કરેલા સોના-ચાંદીના દાગીના અને ભેટ-સોગાદોની જાહેર હરાજી યોજશે. આજે રવિવારે સવારે ૧૧ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી મંદિર પરિસરમાં આ હરાજી યોજાશે. હરાજીમાં સોનાની ગણેશમૂર્તિઓ, વિવિધ પ્રકારનાં લૉકેટ, સોનાના મોદક, વીંટીઓ, ચેઇન, આકર્ષક હાર-નેકલેસ તેમ જ ચાંદીની ઈંટોનો સમાવેશ થાય છે. ટ્રસ્ટે જણાવ્યું હતું કે હરાજી પહેલાં તમામ વસ્તુઓ મંદિર પરિસરમાં જાહેર પ્રદર્શન માટે મૂકવામાં આવશે જેથી ભક્તો એને જોઈ શકે. સમગ્ર પ્રક્રિયા સરકારના નિયમો અને કાયદા મુજબ પારદર્શક રીતે હાથ ધરવામાં આવશે.

વૈશાખ સુદ ત્રીજ એટલે કે અક્ષયતૃતીયાના દિવસે સોના-ચાંદીની ખરીદી અત્યંત શુભ મનાય છે. મહાભારતના એક પ્રસંગ મુજબ વનવાસ દરમ્યાન દ્રૌપદીની પ્રાર્થનાથી શ્રીકૃષ્ણે ચોખાના એક દાણાને અક્ષયપાત્રમાં ફેરવી દીધો હતો, જેમાંથી અખૂટ ભોજન મળ્યું હતું. ત્યારથી આ દિવસ સમૃદ્ધિ અને અખૂટ ધનનું પ્રતીક બન્યો છે.

સિદ્ધિવિનાયક ન્યાસ વ્યવસ્થાપન સમિતિએ શ્રી સિદ્ધિવિનાયકના તમામ ભક્તોને આ વિશેષ હરાજીમાં મોટી સંખ્યામાં સહભાગી થવા આહ્‍વાન કર્યું છે. ભક્તો માટે બાપ્પાને અર્પણ થયેલું સોનું ખરીદવાની આ એક દુર્લભ અને ધાર્મિક મહત્ત્વ ધરાવતી તક છે.

mumbai news mumbai culture news siddhivinayak temple dadar prabhadevi