08 April, 2020 03:30 PM IST | Mumbai
મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકર. તસવીર ટ્વિટર
મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બુધવારે રાજ્યનું સંબોધન કર્યું. દેશભરમાં ફેલાયેલા રોગચાળાને પગલે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેઓ બધા જ મંત્રીઓ સાથે સંપર્કમાં છે અને વીડિયો કોન્ફરન્સથી નિયમિત સંવાદ સાધે છે.રાજ્યમાં કોરોનાવાઇરસનાં વધી રહેલા કેસિઝને મામલે મુખ્યમંત્રીએ કહ્યું કે, “કેસિઝમાં વધારો છે ખરો પણ એ એટલો બધો નથી કે આપણે ગભરાવું પડે.વુહાનનાં સમાચાર મને આખા વિશ્વમાંથી મળી રહ્યા છે અને ત્યાં બધું હવે નોર્મલ છે, આ સાબિત કરે છે કે બધું પહેલાંની માફક બરાબર થઇ જશે.”
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એમ પણ કહ્યું કે, “વિશ્વમાં N-95 માસ્ક, PPE કિટ્સ અને વેન્ટિલેટર્સની અછત થઇ રહી છે, અમેરિકા આપણી પાસેથી દવા મંગાવી રહ્યું છે. મારી સૌને વિનંતી છે કે લોકોએ માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવું. માસ્ક ખરીદવા જરૂરી નથી ઘરનાં ચોખ્ખા કપડાંથી પણ માસ્ક બનાવી શકાય છે.”
તેમણે મહારાષ્ટ્રનાં નાગરિકોને લૉકડાઉનમાં પડતી મુશ્કેલીઓ અંગે માફી માગી. તેમણે કહ્યું, “હું સમજું છું કે લોકોને અનેક સમસ્યાઓ પડતી હશે અને લોકો કંટાળી રહ્યા છે. હું આ સ્થિતિ અંગે માફી માંગુ છું પણ Covid-19ને હરાવવા માટે આ એક જ વિકલ્પ છે.”
ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે રાજ્ય રોજેરોજ કમાઇને ખાનારા દાડિયા કામદારોને 15 લાખ મીલ્સ પુરાં પાડે છે જે રાજ્યનાં અલગ અલગ હિસ્સાઓમાં ફસાઇ ગયા છે. વુહાનની વાત કરી તેમણે ફરી કહ્યું કે આપણે પણ આ સંકટની પાર ઉતરી શકીશું.મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, “નિવૃત્ત સ્વાસ્થ્ય કામદારોએ આગળ આવીને સરકારને રોગચાળો ફેલાતો અટકાવવા મદદ કરવી જોઇએ. તેઓ અમને Covidyoddha@gmail.com પર ઇમેઇલ કરીને પોતાની ઉપલબ્ધી અંગે જાણ કરી શકે છે.નર્સિઝ, વૉર્ડબોય્ઝ, તાલીમ પામેલાઓ અમારો સંપર્ક કરે અને આ લડતમાં અમારી સાથે જોડાય.”