24 March, 2020 09:55 AM IST | Mumbai | Agencies
ઉદ્ધવ ઠાકરે
શહેરમાં વધતા જતા કોરોના વાઇરસના કેસને અનુલક્ષીને ગઈ કાલે શિવસેનાએ કહ્યું હતું કે જે રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાતોરાત નોટબંધીનો નિર્ણય લીધો હતો એ જ રીતે મુંબઈની લોકલ ટ્રેન સહિત ટ્રેનસેવા બંધ કરવાનો નિર્ણય વહેલા લઈ લીધો હોત તો રાજ્યમાં કોરોના વાઇરસના પેશન્ટની સંખ્યામાં આટલો ઝડપી વધારો ન નોંધાયો હોત. શિવસેનાના મુખપત્ર સામનાના સંપાદકીયમાં એવો પણ ભય વ્યક્ત કરાયો હતો કે કોરોના વાઇરસને જો ગંભીરતાથી લેવામાં નહીં આવે તો ભારતમાં પણ ઇટલી અને જર્મની જેવી સ્થિતિ પ્રવર્તતા વાર નહીં લાગે. ઇટલી અને જર્મનીમાં કોરોના વાઇરસના પેશન્ટનો મૃત્યુઆંક હજારોમાં વધી રહ્યો છે.
સેનાના સંપાદકીયમાં પ્રશ્ન કરાયો હતો કે વડા પ્રધાન મોદી અચાનક નિર્ણયો લઈને લોકોને આશ્ચર્યચકિત કરવા માટે જાણીતા છે. નોટબંધીનો નિર્ણય રાતોરાત લઈ લીધો તો આ દેશવ્યાપી રોગચાળા વખતે કેમ તરત નિર્ણય ન લીધો. આપણે ઇટલી અને જર્મનીએ કરેલી ભૂલો દોહરાવી રહ્યા છીએ.
માત્ર લોકો જ નહીં, વહીવટી તંત્રએ પણ દેશવ્યાપી મહામારીને ગંભીરતાથી લીધી નથી. મિલાન અને વેનિસ જેવાં શહેર કબ્રસ્તાનમાં ફેરવાઈ રહ્યાં છે. કોરોના વાઇરસના ભયથી લોકો આ રોગથી મરનારાઓના અંતિમ સંસ્કારમાં પણ હાજર રહેતા નથી. રોમની ગલીઓ સૂની ભેંકાર જોવા મળે છે અને જર્મનીમાં પણ એ જ હાલત છે.