20 March, 2020 03:57 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્ર શટડાઉનની જાહેરાત કરી
મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે સંબોધન કરતા જાહેર કર્યું છે કે રાજ્યનાં મુખ્ય શહેરોનાં મુંબઇ અને પુના સહિત તમામનાં કાર્ય સ્થળો 31મી માર્ચ સુધી બંધ રહશે. આ જાહેરાત મુંબઇ, MMR રિજન, પુના, પિંપરી-ચિંચવાડ અને નાગપુરને લાગુ પડશે. મુખ્યમંત્રીએ લોકોને અરજ કરી છે કે તેઓ ઘરની બહાર ન નિકળે તથા સેલ્ફ ક્વોરેન્ટાઇન જેવી પરિસ્થિતિ અનુસરી, સોશ્યલ ડિસ્ટન્સિંગ કરીને કોરોનાવાઇરસનાં પ્રસારને અટકાવે.
આ અંગે આદિત્ય ઠાકરે એ પણ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે આજે મધરાતથી બધાં જ કાર્યસ્થળ 31મી માર્ચ સુધી બંધ રહેશે. સરકારી કચેરીઓ 25 ટકા હાજરી સાથે કામ કરશે. રાજ્ય સરકારે મુંબઇમાં કમ્પ્લિટ શો-ડાઉનની જાહેરાત કરી છે તથા અનિવાર્ય સેવાઓ તથા જાહેર વાહન વ્યવહાર સિવાય બધું જ બંધ કરી દેવાશે, જો કે મુખ્યમંત્રીએ કહ્યું કે બેંકોની કામગીરી યથાવત્ ચાલુ રહેશે. મહારાષ્ટ્રમાં હજી સુધી 52 કેસિઝ પૉઝિટીવ આવ્યા છે જેમાંથી પાંચ દર્દીઓ રિકવરીના માર્ગે છે.
અત્યાર સુધી દેશમાં કોરોનાવાઇરસનાં કેસિઝનો આંકડો 213 થયો છે જેમાંથી 28 કેસ કેરળમાં, દિલ્હીમાં 17 અને કર્ણાટકમાં 15 કેસિઝ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં આ આંકડો સૌથી વધુ છે અને ગઇકાલ સાંજથી ગુજરાતમાં કોરોનાનાં અત્યાર સુધીમા ંકુલ 5 કેસિઝ નોંધાયા છે.