27 May, 2022 09:57 AM IST | Mumbai | Agency
ઉદ્ધવ ઠાકરે
કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે રાજ્યની જનતાને કોરોના સામેની લડતમાં રક્ષણ માટેનાં હથિયાર હેઠાં ન મૂકવાની અપીલ કરતાં કહ્યું હતું કે સંક્રમણ ફેલાય નહીં એ માટે લોકોએ ફેસમાસ્ક પહેરવાનું ચાલુ રાખવું જોઈએ. રાજ્ય કૅબિનેટની સાપ્તાહિક બેઠક દરમિયાન તેમણે લોકોને ઉપરોક્ત અપીલ કરી હતી.
હૉસ્પિટલાઇઝેશનનો દર નીચો હોવા છતાં દરેક વ્યક્તિએ સતર્ક રહેવું જોઈએ, કારણ કે વાઇરસે હજી સંપૂર્ણ વિદાય લીધી નથી એમ તેમણે કહ્યું હતું. બુધવારે મહારાષ્ટ્રમાં કોરોનાના ૪૭૦ પૉઝિટિવ કેસો નોંધાયા હતા, જે પાંચમી માર્ચ પછીનો સૌથી ઊંચો દૈનિક આંક છે. એમાંથી ૨૯૫ કેસ એકલા મુંબઈમાં નોંધાયા હતા. ૧૨ ફેબ્રુઆરી પછી એક દિવસમાં નોંધાયેલા આ સૌથી વધુ કેસ છે.
તેમણે કહ્યું હતું કે ‘માસ્ક અને રસીકરણ આવશ્યક છે. અત્યારે ૧૮ વર્ષ કરતાં વધુ વયના ૯૨.૨૭ ટકા લોકોએ રસીનો પહેલો ડોઝ લીધો છે અને આરોગ્ય વિભાગને રસીકરણની પ્રક્રિયાને ઝડપી બનાવવા જણાવાયું છે.’