01 January, 2021 10:55 AM IST | Aurangabad | Agency
બાળાસાહેબ થોરાત
ઔરંગાબાદનું નામ બદલવાની કોઇ પણ દરખાસ્તનો તેમનો પક્ષ સખત વિરોધ કરશે એમ મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના વડા બાળાસાહેબ થોરાટે ગઈ કાલે જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે કોઈ પણ સ્થળનું નામ બદલવું એ કૉન્ગ્રેસ અને એનસીપી જેના પાર્ટનર છે તેવી શિવસેનાના નેતૃત્વ હેઠળની મહાવિકાસ આઘાડી (એમવીએ) સરકારના કોમન મિનિમમ પ્રોગ્રામ (સીએમપી) નો ભાગ નથી.
જો ઔરંગાબાદનું નામ બદલીને સંભાજી નગર કરવાની કોઈ પણ દરખાસ્ત રજૂ કરાશે તો કૉન્ગ્રેસ તેનો સખત વિરોધ કરશે એમ તેમણે જણાવ્યું હતું. કોઈ પણ સ્થળનું નામ બદલવામાં સામાન્ય માનવીનો વિકાસ થતો નથી હોતો આથી અમારો પક્ષ તેને ટેકો આપતો નથી એમ તેમણે પત્રકારોએ પુછેલા એક પ્રશ્નનો જવાબ આપતાં વધુમાં કહ્યું હતે કે અમે એમવીએ ગઠબંધનનો એક હિસ્સો હોવા છતાં અમે આવી દરખાસ્તનો સખત વિરોધ કરીશું. જોકે ઔરંગાબાદનું નામ બદલવા સંબંધે કોઈ દરખાસ્ત હોવા વિશે તેમને જાણકારી ન હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. લગભગ બે દસકા પહેલાં શિવસેનાએ ઔરંગાબાદનું નામ બદલીને સંભાજીનગર કરવાની માગણી મુકી હતી.