10 February, 2021 12:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બીજેપીના નિશાના પર સેલિબ્રિટીઓ (ઉપર) - સોનમ કપૂર, ફરહાન અખ્તર, પરિણીતી ચોપડા, હૃતિક રોશન; કૉન્ગ્રેસના નિશાના પર સેલિબ્રિટીઓ (નીચે) - લતા મંગેશકર, અક્ષયકુમાર, સુનીલ શેટ્ટી, સચીન તેન્ડુલકર
ખેડૂત-આંદોલના મુદ્દાઓ પર સેલિબ્રિટીઝની ટ્વીટની તપાસ કરવાનો આદેશ રાજ્ય સરકારે આપ્યો છે ત્યારે બીજેપીના ઘાટકોપરના વિધાનસભ્ય રામ કદમે કેટલીક સેલિબ્રિટીઝની ટ્વીટના સ્ક્રીન શૉટ ટ્વીટ કરીને લખ્યું છે કે કૉન્ગ્રેસ અને મહારાષ્ટ્ર સરકારે આંખ ખોલીને આ તમામ સેલિબ્રિટીઝની ટ્વીટ પણ જોવી જોઈએ. રામ કદમે એક સ્ક્રીન શૉટ શૅર કર્યો છે જેમાં તેમણે અભિનેત્રી સોનમ કપૂર, દિગ્દર્શક અનુરાગ કશ્યપ, દિગ્દર્શક-અભિનેતા ફરહાન અખ્તર, અભિનેત્રી પરિણીતી ચોપડા, હૃતિક રોશન, અભિનેત્રી સ્વરા ભાસ્કર અને કૉન્ગ્રેસના નેતા હાર્દિક પટેલ સહિત અનેક લોકોને ટૅગ કર્યા છે.
રામ કદમે માગણી કરી છે કે ‘આ જોઈને હવે આ બધી સેલિબ્રિટીઝની કૉન્ગ્રેસ અને મહારાષ્ટ્ર સરકાર તપાસ કરશે કે તપાસના નામે દેશ સાથે ઊભાં રહેનારાં લતા મંગેશકર, સચીન તેન્ડુલકર, અક્ષયકુમાર અને સુનીલ શેટ્ટી જેવાઓને છેતરશે? માફી માગીને સરકારે આ તઘલખી નિર્ણય તાત્કાલિક પાછો લેવો જોઈએ.’